Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

સવારે જૂનાગઢમાં વેપારીના મકાનમાં આગ લાગતા વ્‍યાપક નુકસાન

ફર્નિચર - ઘરવખરી ખાખ : બે કલાકે આગ કાબુમાં આવી

(વિનુ જોશી) જૂનાગઢ તા. ૨૦ : સવારે જૂનાગઢમાં એક વેપારીના મકાનમાં આગ લાગતા વ્‍યાપક નુકસાન થયું હતું. આગને લઇ ફર્નિચર અને ઘરવખરી ખાખ થઇ ગઇ હતી.

જૂનાગઢમાં જયશ્રી ફાટક પાસે આવેલ જલારામ સોસાયટી શેરી નં. ૧માં રહેતા કાપડીના વેપારી અમૃતલાલ કાનજીભાઇ કારીયાના ડુપ્‍લેક્ષ મકાનમાં ઉપરના ભાગે આજે સવારે ૬.૨૩ કલાકે આગ લાગી હતી.

આ અંગેની જાણ થતાં મનપાના ફાયર ઓફિસર દિપક જાનીનાં માર્ગદર્શનમાં નુરમહમદ શેખ, અરજણ નંદાણીયા, મિતુલ મહેતા, વિમલ નંદાણીયાા, જીતુ પંડયા, ગભરૂભાઇ તથા ઇકબાલશા રશીયા સહિતનો સ્‍ટાફ બે ગાડી સાથે દોડી ગયો હતો.

મકાનમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી જેને બુઝાવવા માટે બે કલાક પાણીનો મારો ચલાવવો પડયો હતો.

આગને લઇ સદ્‌નશીબે કોઇ જાનમાલ થઇ ન હતી પરંતુ ઘરવખરી, ફર્નીચર, એસી વગેરે બળીને ખાખ થઇ જતાં લાખો રૂપિયાનું નુકસાન થયું હતું.

આગ ઇલેકટ્રીક શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું જણાવ્‍યું હતું.

(1:43 pm IST)