Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

શ્રી ખોડલધામ મંદિરે વિશીષ્ટ શણગાર- ૮ કિલો ડ્રાયફ્રુટનો હાર અર્પણ

ખોડલધામમાં શ્રી ખોડિયાર જયંતિની ઉજવણીઃ છપ્પન ભોગ દર્શન- અન્નકૂટ દર્શન

રાજકોટઃ આજે મહાસુદ આઠમ એટલે કે ખોડિયાર જયંતી. મા ખોડલના પ્રાગટય દિને વિશ્વપ્રસિદ્ધ જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે આવેલા શ્રી ખોડલધામ મંદિર ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ખોડિયાર જયંતી નિમિત્તે મા ખોડલને છપ્પન ભોગ ધરવામાં આવ્યા હતા. સવારથી જ ભકતો માટે અન્નકૂટ દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલે પણ ખોડિયાર જયંતી નિમિત્તે મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લીધા હતા અને સૌ ભકતોને ખોડિયાર જયંતીની શુભેચ્છા પાઠવી હતી.

ખોડિયાર જયંતીના પાવન અવસરે મા ખોડલનો વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો હતો. મા ખોડલને ૮ કિલો ડ્રાયફ્રૂટનો હાર અર્પણ કરવામાં આવ્યો હતો. સાથે જ દર વર્ષની જેમ અન્નકૂટ પણ ધરવામાં આવ્યો હતો. ખોડિયાર જયંતી નિમિત્તે સવારે મા ખોડલની આરતી બાદ ભકતો માટે માતાજી અને અન્નકૂટના દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. મંદિર પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં હવન કરવામાં આવ્યો હતો ત્યારબાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

સવારે મંદિરના દ્વાર ખૂલતા જ મા ખોડલના ખાસ શણગાર અને અન્નકૂટના અમૂલ્ય દર્શન ભકતોએ કર્યા હતા. મા ખોડલને વિવિધ મિઠાઈ અને ફરસાણ સહિત કુલ ૫૬ વાનગીનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. આખો દિવસ ભકતો આ અન્નકૂટના દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી.

(12:43 pm IST)