Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

ટંકારા તાલુકાનાં ધ્રુવનગરમાં અનેક આગેવાનો - કાર્યકરો ભાજપમાં જોડાયા

(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારા, તા.૨૦: ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામે ધ્રુવ કુમાર સિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમ માં કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા, પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડીયા, મોરબી માળીયા ધારાસભ્ય બ્રિજેશભાઈ મિ મેરજા, પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઇ મેતલિયા, માર્કેટિંગ યાર્ડના પ્રમુખ મગનભાઈ વડવિયા, મોરબી ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરિયા, મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા તથા આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહેલા હતા.

શ્રી ધ્રુવ કુમાર સિંહની અધ્યક્ષતામાં ટંકારા તાલુકાના નાના ખીજડીયા, મોટા ખીજડીયા, અમરાપર, હિરાપર, હડમતીયા, હરબટીયાળી, હરીપર, કલ્યાણપર ઘુનડા પ્રભુનગર, નેકનામ વિરવાવ વિગેરે ગામના આગેવાનો કાર્યકરો ભાજપમાં જોડાયેલ. વીરવાવ સરપંચ કિશોરસિંહ જાડેજા, નેકનામ મહિલા સરપંચ, ઉપસરપંચ માંધાતાસિંહ, અમરાપર સહકારી મંડળીના પ્રમુખ અયુબ બાદી નાના રામપર સહકારી મંડળીના પ્રમુખ વનરાજસિંહ જાડેજા, ટંકારા ના કોંગ્રેસના સોશિયલ મીડિયાના નિલેશ પટણી ટંકારા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ચકુભાઈ ફેફર સહિત અને કાર્યકરોને કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા ,જયંતીભાઈ કવાડીયા, બ્રિજેશભાઈ મેરજા તથા ભાજપ સંગઠનના આગેવાનોએ કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી સન્માન કરી પ્રવેશ આપેલો હતો.

કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાનું સ્વાગત ધર્મરાજસિંહ જાડેજા દ્વારા કરાયેલ. આભાર વિધિ માર્કેટિંગ યાર્ડ મોરબીના વાઇસ ચેરમેન ભવનભાઈ ભાગ્યા દ્વારા કરાયેલ.

મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ જણાવેલ કે ભાજપનો બુલડોઝર ફરી વળેલ છે. કોંગ્રેસના કાંગરાઓ ખરી ગયા છે પૂર્વ મંત્રી જેન્તીભાઈ કવાડીયા જણાવેલ કે આ કેસ કાપડનો ટુકડો નથી પરંતુ જવાબદારીનો ખેસ છે આ ખેસ પહેરવાથી તમારી બધાની કામ કરવાની જવાબદારી વધી છે.

કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું કે દેશ નરેન્દ્રભાઇ મોદી તથા ગુજરાત વિજયભાઈ રૂપાણી ના નેતૃત્વમાં આગળ વધી રહ્યું છે. નરેન્દ્રભાઇ મોદીએ પાંચ વર્ષમાં ૩૭૦મી કલમ સહિત અનેક પ્રશ્નો ઉકેલાયા છે.

સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાએ ખેડૂતોના પ્રશ્નો માટે જીવનભર કામગીરી કરેલ છે. છેલ્લા છ વર્ષમાં ખેડૂતોને ઝીરો ટકાએ લોન આપવામાં આવેલ છે એ નાનીસૂની કામગીરી નથી.

(12:43 pm IST)