Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

જૂનાગઢ જિલ્લામાં ૨૪ કલાકમાં માત્ર ૨૮ કેસઃ વંથલીમાં ઝીરો કેસ સાથે ૧નું મોત

નવા ૨૮ કેસની સામે બે ગણા દર્દીએ કોરોનાને પરાજ્ય આપ્યો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૧૦ :. જૂનાગઢ જિલ્લામાં ૨૪ કલાકમાં માત્ર ૨૮ નોંધાવાની સાથે બે ગણા એટલે કે ૫૬ દર્દીએ કોરોનાને પરાજય આપ્યો હતો.

જો કે વંથલીમાં ઝીરો કેસ થવાની સાથે એક કોવીડ દર્દીનું મોત થતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના કેસ ગ્રાફ ઝડપભેર નીચે ઉતરી રહ્યો છે. ગઈકાલે માત્ર ૨૮ કેસ નોંધાયા હતા.

જેમા જૂનાગઢના દૈનિક કેસ ઘટીને ૬ થઈ ગયા હતા. જો કે ભેસાણ અને વંથલી કોરોના મુકત થયેલ છે. આ બન્ને વિસ્તારમાં બુધવારે એક પણ નવો કેસ નોંધાયો ન હતો.

પરંતુ ગઈકાલે યમરાજાએ માથુ ઉંચકીને વંથલીના એક કોરોના દર્દીના પ્રાણ હરી લીધા હતા.

ગઈકાલે વધુ ૫૬ દર્દી સ્વસ્થ થતા તેમને સારવારમાંથી મુકિત આપવામાં આવી હતી.

બુધવારે જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં ૨૩૩૭ અને ગ્રામ્ય પંથકમાં ૪૨૩૦ મળી કુલ ૬૫૭૬ લોકોએ કોરોના પ્રતિરોધક રસી લીધી હતી.

(11:58 am IST)