Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

ભાવનગરના મહુવામાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ૬ મોબાઈલ પશુવાનનું લોકાર્પણ

રાજ્ય સરકાર દ્વારા ૧૦ ગામ દિઠ ક્લસ્ટર મુજબ ૧ એમ્બ્યુલન્સ પશુઓની સેવામા કાર્યરત

ભાવનગર   જિલ્લાનાં મહુવા ખાતે ૬ પશુ વાન અર્પણ કરાઈ હતી. જેને લીલી ઝંડી આપી પાણી પુરવઠા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ  બાવળીયાએ એ.પી.એમ.સી., મહુવા ખાતેથી પ્રસ્થાન કરાવ્યુ હતું. આ ૬ મોબાઇલ એમ્બ્યુલન્સ વાન ભાવનગર જિલ્લાના ૬ તાલુકાઓમાં ફાળવવામાં આવેલ છે.

જે પૈકી મહુવા તાલુકાના અમૃતવેલ, તળાજા તાલુકાના જસપરા, પાલીતાણા તાલુકાના નોંધણવદર, ગારીયાધાર તાલુકાના ગણેશગઢ, વલ્લભીપુર તાલુકાના રતનપર-ગાયકવાડ અને ઘોઘા તાલુકાના તણસા ગામ ખાતે પશુપાલકોના પશુઓની સારવાર માટે ફાળવવામાં આવી હતી.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યુ હતુ કે, રાજ્ય સરકારના પશુપાલન વિભાગના માધ્યમથી રાજ્યનાં તમામ પશુઓને ચિકિત્સા ક્ષેત્રે કામગીરીના ભાગરૂપે આ યોજના અમલમાં મુકવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ૧૦ ગામ દિઠ ક્લસ્ટર મુજબ ૧ એમ્બ્યુલન્સ પશુઓની સેવામા કાર્યરત રહેશે. ૧૦૮ની સેવા શરૂ કરી હતી તે જ પ્રણાલીને આગળ વધારી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માનવીની જેમ જ પશુઓની પણ દરકાર લીધી છે.

પશુ ચિકિત્સા રથ કહી શકાય એવું આ ફરતું દવાખાનું ફાળવવામાં આવેલા ગામોમાં ૧૯૬૨ નંબર પર કોલ કરવાથી સેવા આપશે. હાલ જિલ્લામાં કુલ ૨૫ ફરતા પશુ દવાખાના ફાળવવામાં આવતાં જિલ્લાના કુલ ૨૫૦ ગામોના પશુપાલકોના પશુઓની વિનામૂલ્યે અને ઘેર બેઠાં આરોગ્ય સંભાળ લેશે. ૧૯૬૨ ના વાહનોમાં જીપીએસ લગાવેલું હોવાથી, આ સેવાનું સી.એમ.ડેસ્ક બોર્ડ થી રિયલ ટાઈમ મોનીટરીંગ થઈ શકે છે. આ મોબાઇલ એનિમલ હોસ્પીટલમાં એક પશુ ચિકિત્સક અને એક વાહન ચાલક સહ મદદનીશ સેવાઓ આપશે. સવારના ૭ વાગ્યા થી સાંજના ૭ વાગ્યા સુધી ૧૯૬૨ પર કોલ કરીને જે તે વિસ્તારના પશુપાલકો પશુ સારવાર સેવા લઈ શકશે.

રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી તાલીમ "મૈત્રી" ની તાલીમ લેનાર ૧૦ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં. આ તાલીમાર્થીઓ કુત્રિમ બીજદાનનાં માધ્યમથી પશુમાં દૂધની ક્વોલિટીમાં વધારો તેમજ પશુઓ સારી ઓલાદ આપે તે માટે રાજ્ય સરકારનાં સહયોગથી આ તાલીમ અમલમાં મુકવામાં આવી છે.

(11:19 pm IST)