Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

દેણુ ચુકવવા પિતરાઇ ભાઇને પતાવી દીધો

તાંત્રીક વિધિ દ્વારા એકના ડબલની લાલચ આપી ૧૦ લાખ રોકડા અને સોનાના રર તોલાના દાગીના લીધા બાદ પરત આપવા ન પડે તે માટે રણજીત મંડલીની પિતરાઇ જયદીપે હત્યા કરી નાખીઃ જસદણના દહીંસરા ગામનો બનાવ : પિતરાઇને ચિક્કાર દારૂ પીવડાવી માથામાં બોથડ પદાર્થ ઝીંકી મોતને ઘાટ ઉતારી લાશ કુંવામાં ફેંકી દીધીઃ બનાવ અકસ્માતમાં ખપાવવા પ્રયાસ કર્યો પણ ભાંડો ફુટી ગયોઃ રૂરલ પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ વી.એમ.કોલાદરા તથા ટીમે ભેદ ઉકેલ્યો

રાજકોટ, તા., ર૧: જસદણના દહીંસરા ગામે રહેતા યુવાનની તેના પિતરાઇ ભાઇએ જ હત્યા કર્યાનું ખુલતા ચકચાર જાગી છે. દેણુ ચુકવવા માટે પિતરાઇ ભાઇએ તાંત્રીક વિધિ દ્વારા એકના ડબલની લાલચ આપી લાખોની રોકડ રકમ અને સોનાના દાગીના પરત ન આપવા પડે તે માટે યુવાનની હત્યા કર્યાનું ખુલ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ જસદણના દહીંસરા ગામે રહેતા ખેતી કામ કરતા રણજીત ઉર્ફે ભોળો ભુપતભાઇ મંડલી (ઉ.વ.૩૧)ની  ગત તા. ર૭ના રોજ તેની સંયુકત વાડીના કુવામાંથી લાશ મળી આવી હતી. ઘટના સ્થળેથી અંગ્રેજી દારૂની અડધી બોટલ, ૪ ગ્લાસ તથા બાઇટીંગ મળી આવ્યું હતું. તેમજ રણજીતના માથાના પાછળના ભાગેથી સતત લોહી નિકળતું હોય પરીવારજનોને શંકા જતા રણજીતનું લાશનું જસદણના બદલે રાજકોટ હોસ્પીટલમાં પીએમ કરાવ્યું હતું. પીએમ રીપોર્ટમાં રણજીતનું મોત ડુબવાથી નહિ પરંતુ માથાની ઇજાને કારણે થયાનું તબીબોએ અભિપ્રાય આપ્યો હતો.

 દરમિયાન મૃતક રણજીતના પરીવારજનોએ બનાવ હત્યાનો હોવાની શંકા વ્યકત કરી એસપીને રજુઆત કરતા આ કેસની તપાસ પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ વી.એમ.કોલાદરાને સોંંપાતા તેઓએ ઉંડાણપુર્વક તપાસ કરતા ચોંકાવનારી વિગતો ખુલી હતી. પોલીસને મૃતક રણજીતના પિતરાઇ જયદીપ ઉર્ફે ટકો અરવિંદભાઇ મંડલી (રહે. દહીંસરા) વિરૂધ્ધ પુરાવા મળતા તેને દબોચી લઇ કડક પુછપરછ કરતા તેણે જ રણજીતની હર્ત્યા કર્યાની કબુલાત આપી હતી.

પોલીસના જણાવ્યા મુજબ આરોપી જયદીપ ઉપર લાખોનું દેણું થઇ જતા અને તેમાંથી બહાર નિકળવા માટે પોતાના પિતરાઇ રણજીતને શિકાર બનાવ્યો હતો. રણજીતને કહયું હતું કે, તાંત્રીક વિધિ કરી હું તારા રૂપીયા ડબલ કરી આપીશ. જેના કારણે રણજીતે ગામમાં રહેતા બહાદુરભાઇ પાસેથી  રૂ.૧પ લાખ હાથ ઉછીના લીધા હતા. તેમાંથી ૭ લાખ ચુકવી બેંકમાં ગીરવે મુકેલા પોતાના ર૩ તોલાના દાગીના છોડાવ્યા હતા. આ તમામ દાગીના અને રૂ. ૧૦ લાખ રણજીતે પિતરાઇ જયદીપને એકના ડબલ કરવાની લાલચે તાંત્રીકવિધિ માટે આપી દીધા હતા. જયદીપે આ રોકડ અને દાગીના રણજીતને તેની જ વાડીમાં વિધિ માટે સંતાડી દીધાનું અને હવે ડબલ થઇ જશે તેમ કહયું હતું.  ત્યાર બાદ જે દિવસે આ રકમ ડબલ થઇ જવાની હતી તે દિવસે જયદીપે તાંત્રીક વિધિના બહાને રણજીતને તેની જ વાડીએ બોલાવી વિધિ માટે દારૂ પીવો પડશે તેમ કહી અંગ્રેજી દારૂ પીવડાવ્યો હતો અને રણજીત નશામાં ભાન ભુલી જતા  તેના માથામાં જયદીપેે બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરી બાદમાં લાશ કુવામાં ફેંકી દીધી હતી. આ બનાવ બાદ જયદીપે પોતાની પાસે રહેલ ૧૦ લાખની રોકડ રકમમાંથી પાંચ લાખનું દેણું પણ ચુકવી દીધું હતું.

બનાવના દિવસે મૃતક રણજીત સાથે પોતે હોવાનું અને તે અકસ્માતે કુવામાં પડી ગયાનું જયદીપે સ્ટોરી ઘડી પોલીસને ગેરમાર્ગે દોરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ અંતે તેનો ભાંડો ફુટી ગયો હતો. આ બનાવ અંગે ભાડલા પોલીસે મૃતક રણજીતના પિતા ભુપતભાઇની ફરીયાદ પરથી જયદીપ મંડલી સામે ૩૦૨, ર૦૩, ૪૦૬, ૪ર૪ તથા જીપીએકટ મુજબ ગુન્હો દાખલ કરી જયદીપની ધરપકડ કરી હતી.

(1:10 pm IST)