Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

માંડવીના યુવકની માનવતા : ઘાયલ શ્વાનના બચ્ચા માટે વ્હીલચેર બનાવી અબોલ જીવને ફરી ચાલતું કર્યું

કાઠડા ગામમાં રહેતા વનવિભાગમાં ફરજ બજાવતા નવીનભાઈ ચારણે ઈજાગ્રસ્ત થતાં કૂતરાઓ અને ગલુડિયા માટે વ્હીલચેર બનાવીને જીવદયાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું

કચ્છના ચારણ સમાજના યુવક દ્વારા અબોલ જીવ શ્વાનની સેવા કરીને કરવામાં આવી રહ્યું છે.કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના કાઠડા ગામમાં રહેતા અને વનવિભાગમાં ફરજ નિભાવતા નવીનભાઈ ચારણ દ્વારા અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલાં શ્વાનો માટે વ્હીલચેર બનાવીને તેમને ફરીથી ચાલતા કરવામાં આવી રહ્યું છે.

માંડવી તાલુકાના કાઠડા ગામમાં રહેતા નવીનભાઈ ચારણ કે જે વનવિભાગમાં પોતાની ફરજ બજાવે છે અને સાથે સાથે અબોલ જીવોની સેવા પણ કરી રહ્યા છે.નવીનભાઈ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થતાં કૂતરાઓ અને ગલુડિયા માટે વ્હીલચેર બનાવીને જીવદયાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.નવીનભાઈ દ્વારા પીવીસીના પાઈપ તથા નાના પૈડાંની મદદથી શ્વાનો માટે વ્હીલચેર તૈયાર કરવામાં આવી છે.

નવીનભાઈએ જણાવ્યું હતું કે, આજકાલ લોકો વાહનો તેજ ગતિએ હંકારી રહ્યા છે ત્યારે આ વાહનોને અડફેટે પશુઓ આવી જતા હોય છે અને ઘાયલ થતાં હોય છે.પરિણામે પશુઓના પાછળના બંને પગના ભાગ કામ કરવાનું બંધ કરી દે છે. ક્યારેક ક્યારેક તો પશુઓના હાડકાં ભાંગી જતાં હોય છે જેનાથી પશુઓ પૂરી જિંદગી લાચાર થઈ જતાં હોય છે.ઉપરાંત હાલ શિયાળામાં શ્વાનો ગાડીની નીચે આરામ કરતા હોય છે ત્યારે વાહનચાલકો પણ જોયા વાર ગાડી ચાલુ કરે છે ત્યારે શ્વાનો પર ગાડી ફરી જતી હોય છે જેના લીધે તેઓ ઈજાગ્રસ્ત થતાં હોય છે. જેથી તેઓ ચાલી નથી શકતા માટે તેઓને ચાલવામાં તકલીફ ના પડે તે માટે આવી વ્હીલચેર દ્વારા શ્વાનો મહિનાની અંદર સાજા થઈ જતાં હોય છે.

નવીનભાઈ દ્વારા બનાવવામાં આવેલ વ્હીલચેર ઘાયલ શ્વાનોને લગાડવામાં આવે છે અને ભાંગેલા હાડકાંને વ્હીલચેરના આશરાથી મૂવમેન્ટ મળે છે અને જેથી કરીને શ્વાનો ફરીથી પહેલાની જેમ ચાલતા થઈ જાય છે.આ વ્હીલચેર બનાવવા પાછળ માત્ર 500 રૂપિયા જેટલો ખર્ચ જ થાય છે અને નવીનભાઈ દ્વારા બનાવવામાં આવેલ આ વ્હીલચેરનો ફોટો વાયરલ થતાં તેમને અનેક લોકોએ આ વ્હીલચેર બનાવવા માટે કહ્યું અને નવીનભાઈએ ફ્રીમાં આવી વ્હીલચેર બનાવીને તેમને આપી છે.

ઉપરાંત, નવીનભાઈના માતા અને પિતા પણ અનેક વર્ષોથી અબોલ પશુઓની સેવા કરી રહ્યા છે. દરરોજ સવારના 9 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી શ્વાનોને આ ઘઉંના રોટલા તથા રબડી પીરસવામાં આવે છે.ચારણ પરિવાર દ્વારા શ્વાનો સાથે કબૂતરોને ચણ, સાંજે કીડીયારો પણ અચૂક આપવામાં આવે છે. સામાન્ય આવક છતાં પણ છેલ્લા 25 વર્ષથી મોટી રકમ સેવા પાછળ ખર્ચ કરવામાં આવી રહી છે. ચારણ પરિવાર પૂરા મનથી શ્વનોની સેવામાં જોડાયેલો છે જે પર-સેવા માટે પરસેવો પાડવો એ જ સાચો તપ છે તે સૂત્ર ને સાર્થક કરી રહ્યા છે

(10:03 pm IST)