Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

કોરન્ટાઇન સમય પુર્ણ થયો અને અમરેલીના નિવૃત પીએસઆઇ બી.જે.પાઠકે અંતિમ શ્વાસ લીધા

રાજગોર સમાજ અને પોલીસબેડામાં શોક છવાયો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.રર : અમરેલીના નિવૃત પીએસઆઇ બાલાશંકર જીવરામભાઇ પાઠક (ઉ.વ.૬૪)નું આજે વહેલી સવારે અવસાન થયેલ છે.

અમરેલી પોલીસ બેડામાં ખુબ સારી લોકચાહના મેળવનાર શ્રી પાઠક આજથી ૧૪ દિવસ પહેલા એકાએક શરદી તાવના લક્ષણો જણાતા તેઓએ રિપોર્ટ કરાવતા તેઓ કોરોના પોઝીટીવી થયેલ અને ઘરે જ હોમ કોરોન્ટાઇન રહી સારવાર લઇ રહયા હતા. દરમિયાન તેઓના કોરોન્ટાઇન પિરીયડ આજે પુર્ણ થઇ રહયો હતો અને તેમનો રીપોર્ટ પણ નેગેટીવ આવી ચુકયો હતો.

પરંતુ ગત રાત્રે તેઓનું ઓકસીજન લેવલ ઘટતા તમેના પુત્ર પરેશભાઇ પાઠક અને જમાઇ કલ્પિતભાઇ તેરૈયા તાબડતોબ સિવીલ હોસ્પિટલ લઇ ગયા, ત્યાં તેઓનું ઓકસીજન લેવલ રેગ્યુલર થઇ રહયુ હતુ. પરંતુ અચાનક વહેલી સવારે ૪.૩૦ કલાકે ઓકસીજન લેવલ એકાએક પ૦ ટકા પહોંચી જતા શ્રી પાઠકે અંતિમશ્વાસ લીધા હતા.

શ્રી પાઠક પોલીસ બેડામાં ઉત્કૃષ્ઠ કામગીરી બદલ તત્કાલીન મુ. મંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત થયેલ તેઓ અમરેલી અમદાવાદ ખાતે ફરજ બજાવી સેવા નિવૃત થયા હતા અને હાલ અમરેલી ખાતે નિવૃતી જીવન સુખમય વિતાવી રહયા હતા. દરમિયાન આજે એકાએક શ્રી પાઠકએ વિદાય લેતા તેમના ધર્મપત્ની ભાનુબેન તથા પુત્ર પરેશભાઇ પુત્રવધુ ધર્મિષ્ઠાબેન પૌત્ર વેદાંગ અને લાડકી પુત્રી અંવતિકા જમાઇ કલ્પિભાઇ તેરૈયા અને રિવા તેરૈયાને વિલાપ કરતા છોડી ગયા છે.

રાજગોર સમાજ તેમજ અન્ય સમાજમાં સેવામાં હંમેશા અગ્રેસર રહેતા એવા નિર અભિમાની બાલાભાઇ પાઠક તેમના સરળ સ્વભાવને લઇને બહોળો ચાહક વર્ગ ધરાવે છે. આજે તેઓની અચાનક વિદાયથી રાજગોર સમાજમાં માર્ગદર્શક ગુમાવ્યા છે અને પોલીસબેડામાં પણ શોકનું મોજુ ફરી વળ્યું છે. પાઠક પરિવારને સાંત્વના પાઠવવા તેમના પુત્ર પરેશભાઇ પાઠકના મો.નં.૯૦૩૩૭ ૬૭૧પ૭ ઉપર સાંત્વના આપી રહયા છે.

(11:33 am IST)