Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

અંતે જામનગરના કથિત યૌન શોષણ કેસમાં બે શખ્શો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ : બે સુપરવાઇઝરોની ધરપકડ

એક અઠવાડિયા બાદ ચકચારી જાતીય શોષણ મામલે દોષીતો પર કાર્યવાહી શરૂ

જામનગરની કોવિડ હોસ્પિટલમાં એટેન્ડન્ટો સાથે જાતિય સતામણીના ચકચારી પ્રકરણમાં રાજ્ય સરકારના આદેશ થયા બાદ પણ વહીવટી તંત્ર દ્વારા કયા કારણોસર આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં ઢીલી નીતિ દાખવવામાં આવી રહી હતી? ત્યારે હવે આ ચકચારી પ્રકરણમાં મહિલા અટેન્ડન્સ યૌન શોષણ મામલે પોલીસ ફરિયાદ શરૂ થઇ છે. પોલીસ દ્વારા છેલ્લા 2 દિવસથી આ મામલે અતિ મહત્વના પુરાવા એકત્ર કર્યા બાદ FRI નોંધવાનું શરૂ છે. આ મામલે 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ રહી છે. પોલીસ હાલ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને બે સુપરવાઇઝરોની ધરપકડ કરવામાં આવી છે. જણાવી દઇએ કે, એક અઠવાડિયા બાદ દોષીતો પર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ પ્રકરણમાં ત્રણ સભ્યોની તપાસ સમિતિ બાદ રિપોર્ટ કલેકટરને સોંપવામાં આવ્યો હતો પરંતુ તે છતા આ પ્રકરણમાં ફરિયાદ નોંધાઇ ન હતી તેમજ જામનગર મહિલા ન્યાય મંચ દ્વારા ચકચારી પ્રકરણમાં આજે સવારે લાલ બંગલા સર્કલ ખાતે ધરણા યોજી તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધવા ઉગ્ર માંગણી કરી હતી.

રાજ્યભરમા ચકચારી બનેલા જામનગરની કોવિડ હોસ્પિટલમાં 60થી વધુ એટેન્ડન્ટ યુવતીઓ સાથે જાતિય સતામણી કરાયાનું એલ.બી. પ્રજાપતિ સહિતના શખ્સો વિરૂદ્ધ કલેકટરને પાઠવેલા આવેદનમાં રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આ પ્રકરણમાં વધુ ગરમાયું હતું. ચકચારી પ્રકરણમાં અનેક મહિલા સંસ્થાઓ અને સંગઠનો પીડિતાઓના સપોર્ટમાં આવ્યા હતાં. આ પ્રકરણમાં રાજ્ય સરકાર દ્વારા તપાસ સમિતિ નિમવાના આદેશ બાદ પ્રાંત અધિકારી, એએસપી અને ડીનની સમિતિએ પીડિતોના નિવેદનો લઈ કલેકટરને રિપોર્ટ સોંપ્યો હતો.

દરમિયાન જામનગર મહિલા ન્યાય મંચના પ્રણેતા શેતલબેન શેઠ અને સહપ્રણેતા એડવોકેટ કોમલબેન ભટ્ટ અને નિમિષાબેન ત્રિવેદી, રચનાબેન નંદાણિયા, સોનલબેન નાણાવટી સહિતનાઓએ પીડિતાઓને ન્યાય મળે અને ભવિષ્યમાં પણ આવું હિંચકારૂ કૃત્ય ન થાય તે માટે પોલીસવડાને આવેદનપત્ર પાઠવી આ મામલે તાત્કાલિક ફરિયાદ નોંધવા રજૂઆત કરી હતી.

(11:28 pm IST)