Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

લખતર પંથકમાં વાદળોનો ગોળો ફરતો ફરતો જમીનમાં ત્રાટકતા મકાનોના છાપરા ઉડયા

અનેક વિજ થાંભલા-વૃક્ષો પડી ગયા : વીજ પુરવઠો ખોરવાયો : કુતુહુલ જગાવતી ઘટનાથી લોકોમાં ભયનો માહોલ : એક વ્‍યકિતને ઇજા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૨ : સુરેન્‍દ્રનગર જીલ્લાના લખતર પંથકમાં વાદળોનો ગોળો ફરતો ફરતો નીચે આવતા ભારે વંટોળ ફૂંકાતા લોકોમાં ભારે કુતુહુલ ફેલાયુ છે.

કંઈક આવા જ દ્રશ્‍યો સુરેન્‍દ્રનગર પંથકમાં જોવા મળ્‍યા છે. આવા દશ્‍યો જોવા મળતા લોકોને કૂતુહલ થયું હતું, સાથે જ ભયનો માહોલ પણ ફેલાયો હતો. મળતી માહિતી પ્રમાણે સુરેન્‍દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં આવું દ્રશ્‍યો જોવા મળ્‍યું હતું.

લખતર તાલુકાના વિઠ્ઠલગઢ અને જયોતિપરા ગામ આસપાસના વિસ્‍તારમાં મોટો વંટોળિયો જોવા મળ્‍યો હતો. અહીં આકાશમાંથી સફેદ વાદળોનો ગોળો ફરતો ફરતો જમીન પર ત્રાટક્‍યો હતો. આ બનાવના લાઇવ દ્રશ્‍યો લોકોએ પોતાના મોબાઇલમાં કેદ કરી લીધા હતા.

વરસતા વરસાદ વચ્‍ચે આવા દ્રશ્‍યો જોવા મળ્‍યા હતા. મળતી માહિતી પ્રમાણે વંટોળિયાને પગલે જયોતિપરા ગામ ખાતે કાચા મકાનના છાપરા ઉડી ગયા હતા. આ ઉપરાંત બે વીજપોલ પણ ધરાશાયી થયા હતા. વંટોળિયાને પગલે એક વ્‍યક્‍તિને ઈજા પણ પહોંચી હતી.

વરસતા વરસાદ સાથે વંટોળિયો આવતા લોકોમાં ડર ફેલાયો હતો. શરૂઆતમાં લોકોને વંટોળિયાને જઈને કૂતુહલ થયું હતું, પરંતુ તે ગામમાં ત્રાટકતા ભયનો માહોલ જોવા મળ્‍યો હતો.

લખતર પંથકના વિરમગામ બાજુના રોડ ઉપર આવેલા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વાવાઝોડા અને વરસાદે તબાહી મચાવી દીધી હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી. તો આ વાવાઝોડાના કારણે ૧૮ વીજથાંભલા પડવાથી વીજળી ગુલ થઈ જતાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં અંધારપટ્ટ છવાઈ ગયો છે. ઘર, દુકાનો તેમજ ઘણા મોટા પ્રમાણમાં નુકશાન પહોચ્‍યું છે. તંત્ર દ્વારા પણ તાત્‍કાલિક અસરથી કામગીરી હાથ ધરી હતી. ચોમાસાનાં શરૂઆતના વરસાદે જ ભારે વાવાઝોડા સાથે લખતર પંથકના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં તબાહી સર્જી હોવાની માહિતી જાણવા મળી હતી.

ભારે પવનના કારણે કાચા મકાનો અને દુકાનના છાપરા ઉડ્‍યા હતાં. તાલુકાનાં વિઠ્ઠલગઢ, જયોતિપરા બાજુના વિસ્‍તારમાં ભારે પવન સાથે વંટોળ ફૂંકાયો હતો. જેના કારણે આ વિસ્‍તારના અંદાજે ૧૮ વીજ થાંભલાઓ પડી ગયા હતા. અને વીજ ટાવર પણ પડી ગયો હતો. વીજ થાંભલો પડતાં એક વ્‍યક્‍તિ ઇજાગ્રસ્‍ત પણ થયો હતો. તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. આ અંગે યુજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેર એમ.બી.પટેલે જણાવ્‍યું કે લખતર તાલુકાના વિરમગામ યુજીવીસીએલના તાબામાં આવેલા તમામ ગામોને વીજપોલથી નુકશાન થયું છે. તેમજ તાલુકાના ૧૨ ગામોને અસર થઈ છે.

ત્‍યારે હજુપણ ૧૨ ગામોમાં વીજળી પુરવઠો ખોરવાયો છે જે આજ સુધી ચાલુ થયું નથી જયારે જાણવા મળતી વિગતો અનુસાર આવા દ્રશ્‍યો અને વંટોળિયો સર્જાતા લખતર તાલુકાના અનેક ગામોમાં ૧૮ જેટલા વીજ થાંભલાઓ પડી ગયા છે અને ૧૨ જેટલા ગામોમાં હાલમાં જ છવાઇ જવા પામ્‍યો છે ત્‍યારે હાલમાં ઝાલાવાડમાં લખતર તાલુકામાં આવો કુદરતી નજારો જોવા મળતા ઝાલાવાડના અનેક ગામોમાં આવા નજારા ને લઈ અને ચર્ચાઓ પણ શરૂ થાય છે.

(11:07 am IST)