Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

જામજોધપુરમાં લગ્નના પાંચમા દિવસે જ પરિણીતાએ આપઘાત કરી લેતા ચકચાર

પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાની જાણ નવપરિણીતાને થઈ જતાં આપઘાત કરી લીધા પછી મૃતકની માતાની ફરિયાદના આધારે પતિ સામે ગુનો નોંધવામાં આવ્યો

જામનગર જિલ્લાના જામજોધપુરમાં લગ્નના પાંચમા દિવસે જ પરિણીતાએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. જામજોધપુરમાં એક નવપરિણીતાએ લગ્નના પાંચમા દિવસે જ આત્મહત્યા કરી લીધી છે. પ્રણય ત્રિકોણમાં આ આપઘાતનો કિસ્સો બન્યો છે. પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાની જાણ નવપરિણીતાને થઈ જતાં આપઘાત કરી લીધા પછી મૃતકની માતાની ફરિયાદના આધારે પતિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. 

જામજોધપુર પંથકમાં ભારે ચકચાર ચગાવનારા આ બનાવની વિગત એવી છે કે જામજોધપુરમાં મૂળ સિક્કા ગામની વતની અને જામજોધપુર પરણેલી જ્યોત્સનાબેન ઉર્ફે જોસનાબેન ચેતનભાઇ ચિત્રોડા નામની નવપરિણીતાએ ગત 9 ડિસેમ્બરના દિવસે  પોતાના ઘેર આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ પછી જામજોધપુર પોલીસની ટુકડી દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી હતી અને જામજોધપુરના પી.એસ.આઇ. એમ. જી. વસાવા તથા સ્ટાફના રાજુભાઈ કરમુર સહિતની ટીમ દ્વારા મૃતક યુવતીના માતા ચંપાબેન મેઘજીભાઈ ઘેડિયા કે જેઓ જામનગર તાલુકાના સિક્કા હાઉસિંગ બોર્ડ કોલોનીમાં રહે છે, તેઓને જામજોધપુર બોલાવી લીધા હતા, અને તેઓનું નિવેદન નોંધ્યું હતું. જે નિવેદનમાં ચંપાબેને પોતાની પુત્રીએ તેના જમાઈ ચેતનભાઇ કે જે અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ રાખ્યા હોવાના કારણે પોતાની પુત્રીએ આપઘાત કરી લીધાનું જણાવ્યું હતું. 

 

(12:04 am IST)