Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

અમરેલી તાલુકા પારંપારિક ખેત પેદાશ - જાડા ધાન રસોઈ સ્પર્ધા યોજાઈ

અમરેલી:વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભારતની પારંપારિક ખેત પેદાશ-મિલેટ્સ (જાડા ધાન)ની ખેતી અને તેના આહારમાં ઉપયોગને પ્રોત્સાહન આપવા કરેલી હિમાયતની સફળતાને પગલે યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્ષ-ર૦ર૩ને ‘આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ’ તરીકે ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતમાં પણ મિલેટ્સનો ઉપયોગ વધારવા સમગ્ર વર્ષ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. આ કડીના ભાગરુપે 'પ્રધાન મંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના' અંતર્ગત 'અમરેલી તાલુકા મિલેટ કુકીંગ કોમ્પિટિશન-પારંપારિક ખેત પેદાશ - જાડા ધાન રસોઈ સ્પર્ધા' રાખવામાં આવી હતી. જેમાં મધ્યાહન ભોજન યોજનાના સંચાલક /રસોઈયાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ન્યુટ્રીશન તજજ્ઞ, સીડીપીઓશ્રી, ટીપીઓશ્રી, બીઆરસીશ્રી, મધ્યાહન ભોજન યોજનાના સુપરવાઈઝરશ્રીએ સેવા આપી હતી. આ સ્પર્ધાના અંતે નગરપાલિકા સ્કૂલ બોર્ડના ચેરમેનશ્રી તુષારભાઈ જોષીના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, મિલેટ્સ એટલે કે બાજરી, જુવાર, જવ, રાગી, રાજગરો વગેરે જાડા ધાન અનેક પોષક તત્વોથી ભરપૂર છે અને શક્તિદાયક છે, પાચનમાં પણ મદદરુપ છે. મિલેટ્સના નિયમિત ભોજનથી બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, સ્ટ્રોક, આંતરડાના કેન્સર અને અન્ય ગંભીર બિમારીનું જોખમ ઘટી જાય છે. આ બિમારીઓના જોખમને ઘટાડવા અને સ્વાસ્થ્યપ્રદ જીવન માટે ભોજન અને જીવનશૈલીમાં વધુમાં વધુ જાડા ધાનનો ઉપયોગ થઈ શકે તે માટે જનજાગૃત્તિ આવે તે આવશ્યક છે.  

(1:11 am IST)