Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

કાલે દ્વારકાધીશ જગત મંદિરમાં જયેષ્ઠાભિષેક મહોત્સવઃ શ્રીજીના ખુલ્લા પડદે સ્નાનના દર્શન થશે

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા. ર૩ :.. દ્વારકાધીશ જગત મંદિરમાં કાલે તા. ર૪ ને ગુરૂવારે જેષ્ઠાભિષેક (ખુલ્લા પડદે સ્નાન) કરવામાં આવશે. જગત મંદિરમાં દર વર્ષે જેઠ સુદ પૂનમના શુભ દિનની સવારે જયેષ્ઠા નક્ષત્રમાં શ્રીજીની મંગલ આરતી બાદ જયેષ્ઠાભિષેક કરવામાં આવે છે. આગામી ગુરૂવારે મંગલા આરતી બાદ સવારે ૮ કલાકે ઠાકોરજીનો જયેષ્ઠાભિષેક કરાશે. જેમાં શ્રીજીનું ઋતુનુસાર અમૃત (આંબા) તેમજ દ્વારકાના અઘોર કુંડના પવિત્ર જલથી જલાભિષેક કરવામાં આવશે. સાંજના સમયે શ્રીજીના બાલ સ્વરૂપ ગોપાલજીને મંદિરના ગર્ભગૃહથી બહાર નિજસભામાં નૌકાવિહાર કરાવવામાં આવશે.

ઠાકોરજીના દર્શન સમયમાં ફેરફાર

ગુરૂવારે જગત મંદિરમાં શ્રીજીના જયેષ્ઠાભિષેક ઉત્સવ નિમિતે ઠાકોરજીના નિત્યક્રમમાં જરૂરી ફેરફાર નોંધાયો છે. જે મુજબ ગુરૂવારે જેઠ પુનમના દિવસે મંગલા આરતી સવારે ૬ કલાકે, ઠાકોરજીને ખુલ્લા પડદે સ્નાન સવારે ૮ કલાકે શૃંગાર આરતી સવારે ૧૧ કલાકે, અનોસર (બંધ) બપોરે ૧ કલાકે ઉત્સવ દર્શન સાંજે પ કલાકે તેમજ જલયાત્રા (નૌકાવિહાર) દર્શન સાંજે ૭ કલાકે થનાર હોવાનું મંદિર વહીવટદારની યાદીમાં જણાવાયું છે.

વર્ષમાં માત્ર બે વખત ખુલ્લા પડદે સ્નાન કરાય છેઃ પ્રવણ પૂજારી

દ્વારકા તા. ર૩ :.. જયેષ્ઠાભિષેક ઉત્સવ વિશે માહિતી આપતા દ્વારકાધીશ મંદિરના પ્રણવભાઇ પુજારીએ જણાવેલ કે વર્ષમાં માત્ર બે વખત જ ઠાકોરજીને ખુલ્લા પડદે અભિષેક - સ્નાન કરાવવામાં આવે છે જેમાંનો એક જયેષ્ઠાભિષેક ઉત્સવ હોય જેનું વિશેષ મહત્વ છે. બહોળી સંખ્યામાં સ્થાનીકો જયેષ્ઠાભિષેક તેમજ ત્યારબાદ સાંજના સમયે બાલસ્વરૂપના નૌકાવિહાર દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવશે.

પુજારી પરિવાર દ્વારા ચાંદીના વાસણોમાં અઘોર કુંડનું પવિત્ર જલ વાજતે ગાજતે પહોંચશેઃ બાલ સ્વરૂપ ગોપાલજીની જલયાત્રા

દ્વારકા તા. ર૩ :.. ગુરૂવારે જગત મંદિરમાં શ્રીજીના જયેષ્ઠાભિષેક ઉત્સવ નિમિતે જલયાત્રા ઉત્સવની પૂર્વ તૈયારી રૂપે આગલા દિવસે જગત મંદિરના પૂજારી પરિવારના પુરૂષો તથા મહિલાઓ દ્વારા ચાંદીના બેડાં, ચાંદીની તાંબડી તેમજ વિવિધ ચાંદીના વાસણોમાં દ્વારકાના અતિ પ્રાચીન અને પવિત્ર શ્રી ભદ્રકાલી માતાજીના મંદિર પાસેના અઘોર કુંડમાંથી પૂજા કરી કુંડના પવિત્ર જલને શાસ્ત્રોકત વિધીથી બેન્ડ વાજા સાથે વાજતે ગાજતે દ્વારકા શહેરના રાજમાર્ગો પર થઇ જગત મંદિર ખાતે લઇ જવાશે. ગ્રીષ્મ ઋતુમાંથી વર્ષાઋતુ આવતી હોય આ પવિત્ર જલને વિવિધ ઔષધિયુકત બનાવી રાત્રી અધિવાસન કરી ગુરૂવારે આ પવિત્ર જલથી ઠાકોરજીને જલાભિષેક કરાશે. ગુરૂવારે સાંજના સમયે જગત મંદિરમાં પવિત્ર જલથી જલ કુંડ (હોજ) ભરવામાં આવશે જેમાં ભગવાનનું બાલ સ્વરૂપ ગોપાલજીને નાવમાં બિરાજમાન કરી નૌકા ઉત્સવ એટલે કે જલયાત્રા ઉત્સવ મનોરથની ઉજવણી કરાશે જેનો લાભ દેશ-વિદેશના ભાવિકોને પ્રત્યક્ષ તેમજ ઓનલાઇનના માધ્યમથી મળશે.

(11:30 am IST)