Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

પાટીદારો બાદ આવતીકાલે કોળી સમાજના આગેવાનોની ભાવનગરમાં બેઠક : ભાજપ-કોંગ્રેસના નેતાઓ રહેશે હાજર

રાજયભરના કોળી સમાજની બેઠક સંગઠન મજબૂત બનાવવાના ઉદ્દેશથી મળતી હોવાનો દાવો

અમદાવાદ, તા. ર૩ : વિધાનસભાની ચૂંટણીને હજુ ૧૬થી વધુ મહિના જેટલો સમય બાકી છે છતાં રાજકારણ ગરમાઈ રહ્યું છે. રાજ્યમાં આમ આદમી પાર્ટી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે અને આપ ગુજરાતમાં ભાજપનો વિકલ્પ બનવા માંગે છે ત્યાં છેલ્લા એક મહિનાથી ભાજપમાં પણ હિલચાલ વધી ગઈ છે ત્યાં સામે પક્ષે ગુજરાતના જુદા જુદા સમાજો એક થઈ રહ્યા છે.

થોડા દિવસ પહેલા જ પાટીદાર સમાજ દ્વારા ખોડલધામમાં મોટી બેઠક કરવામાં આવી હતી. આ બેઠક પહેલા મુખ્યમંત્રીને લઈને કરવામાં આવેલાં નિવેદનોના કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું. રાજ્યમાં જુદા જુદા નેતાઓ દ્વારા છેલ્લા થોડા જ દિવસમાં ઁઅમારો મુખ્યમંત્રીઁ બનાવવા માટે માંગ કરવામાં આવી છે ત્યારે ૨૪મી જૂને ભાવનગરમાં કોળી સમાજની બેઠક થવા જઈ રહી છે.

ભાવનગરમાં રાજ્યભરના કોળી સમાજની બેઠક બોલાવવામાં આવી છે. ૨૪મી જૂને જુદા જુદા અગ્રણીઓની હાજરીમાં બેઠક કરવામાં આવશે. વીર માંધાતા ગ્રુપ દ્વારા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કોંગ્રેસ અને ભાજપ સાથે જોડાયેલા આગેવાનો હાજરી આપવાના છે. નોંધનીય છે કે બેઠકમાં કોળી સમાજના સંગઠનને મજબૂત કરવા અંગેના નિર્ણય લેવામાં આવશે.

(11:49 am IST)