Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

ભાવનગર જીલ્લાના શિહોર તાલુકાના ટાણા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર દ્વારા ચોમાસામાં મચ્‍છરજન્‍ય રોગની નાબુદી માટે ટાયરોમાં પાણી ન ભરાય તે માટે દૂર કરાયાઃ ટાયર એકત્રીકરણ ઝુંબેશ

ભાવનગર: ભાવનગર જિલ્લાના સિહોર પંથકના ટાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ટાણા ગામના મણીનગર વિસ્તારને મચ્છરજન્ય રોગોથી બચાવવા ટાયરો એકત્રીકરણની ઝુંબેશ હાથ ધરાઇ હતી. જેમાં આખા ગામમાં ફરી લોકોને સમજાવી ઘરના છત અને ફળિયામાં પડેલા સ્કૂટર, સાયકલ કે કારના ટાયર ટ્રેક્ટરની મદદ લઈ એકત્રિત કરવામાં આવ્યા હતા. જ્યારે ભેગા કરાયેલા ટાયરને ગ્રામ પંચાયતને સોંપી યોગ્ય નિકાલ કરવા જણાવવામાં આવ્યું હતું.

વરસાદી પાણી જમા થતા મચ્છરોની ઉત્પત્તિ

વરસાદ પડે ત્યારે પ્લાસ્ટિકના રમકડા કે રબરના ટાયરમાં વરસાદી પાણી જમા થતું હોય છે અને એ પાણીમાં મચ્છરો તેના ઈંડા મૂકે છે. જેમાંથી પોરા બાદ મચ્છરની ઉત્પત્તિ થતી હોય છે. જેનો યોગ્ય રીતે નિકાલ આવે અને મચ્છરની ઉત્પત્તિ અટકતા મચ્છરજન્ય રોગનું પ્રમાણ ઘટાડવા માટે ટાણા આરોગ્ય કેન્દ્ર દ્વારા ટાયર એકત્રીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ અન્ય ગામોમાં પણ આવી ઝુંબેશ હાથ ધરીને મોટા પ્રમાણમાં મચ્છરની ઉત્પત્તિ અટકાવી શકાય અને મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગોને અટકાવી શકાય છે.

ચોમાસામાં મચ્છરોનો ઉપદ્રવ વધે છે

ચોમાસુ આવે ત્યારે માખી અને મચ્છરોનો ખુબ જ ઉપદ્રવ જોવા મળતો હોય છે. વરસાદ થતાં રોડ પર અને રોડની સાઈડમાં જ્યાં પાણીનો યોગ્ય નિકાલ શક્ય ન બને અને પાણી વહેતું ના હોય અને પડી રહેતું હોય એવા ખાડાઓમાં મચ્છરોની ઉત્પત્તિ જોવા મળતી હોય છે. ભરાઈ રહેલા પાણીમાં મચ્છરો 100 થી વધુ ઈંડા મૂકે છે. જેમાંથી પોરા બને છે અને બાદમાં તેમાંથી મચ્છરોની ઉત્પત્તિ થતી હોય છે. એ સિવાય માટીના ઠીકરા, કુંડા, પ્લાસ્ટિક બેગ, રબરના ટાયર વગેરે પણ મચ્છરોની ઉત્પત્તિના મુખ્ય વાહક બને છે. આવી વસ્તુઓમાં વરસાદી પાણી જમા થતું હોય છે અને જેમાં મચ્છરો ઈંડા મુકી દેતા તેમાંથી મચ્છરોની ઉત્પત્તિ થતાં અને મચ્છરજન્ય રોગોનો ઉદભવ થાય છે. જેથી આવી વસ્તુઓનો યોગ્ય નિકાલ કરી મચ્છરોની ઉત્પત્તિ અટકાવી શકાય છે. એ માટે ગામના યુવક મંડળો, ગ્રામ પંચાયતો અને લોકો સહયોગ આપીને ઝુંબેશો કરે તે પણ અનુકરણીય ગણાશે.

ટાણા સરપંચની અનુકરણીય કામગીરી

ટાણા ગામના સરપંચ નિશાબેન ગામના મણિનગર વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં ટાયરોનો જથ્થો જોતા લોકજાગૃતિ માટે ઝુંબેશ ઉપાડી અને તેમાં ગામના આગેવાન કિરીટભાઈ ગોધાણી દ્વારા ટ્રેક્ટરનો સહયોગ મળતા આરોગ્ય તંત્રના કર્મચારી સંજયભાઈ ભટ્ટ, ભરતભાઈ ખીમાણી, રસિકભાઈ બારૈયા તથા તાલીમાર્થી ભાઈઓની ટીમ દ્વારા ઘરે-ઘરે જઈને લોકોને ટાયરોમાં વરસાદનું ચોખ્ખું પાણી ભરાતા એક મચ્છરના ઇંડામાથી હજારો મચ્છરોની ઉત્પત્તિ થઈ શકે છે. તેમજ આ મચ્છરની ફેક્ટરીથી મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકનગુનિયા જેવા અનેક પ્રકારના રોગ થઇ શકે અને ઘેર ઘેર માંદગી આવે. ક્યારેક પોતાના વ્હાલા સ્વજન પણ ગુમાવવા પડે તે વાત સમજાવી ઘર પર પડેલા ટાયરને ટ્રેક્ટરની ટ્રોલીમાં ભરીને ભેગા થયેલા ટાયર પંચાયતમાં સોંપી દેવાયા હતા. તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. આવી કામગીરી માટે ગામે ગામ પંચાયત, યુવક મંડળો આરોગ્ય ટીમને સહયોગ આપે તો મચ્છર ઉત્પત્તિ અટકાવીને રોગચાળાને અટકાવી શકીશું.

(5:26 pm IST)