Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

જામનગરમાં પ્રાણનાથજીનો ૪૦૫માં પ્રાગટ્‍ય મહોત્‍સવનો પ્રારંભઃ કૃષિમંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૩: શહેરની સુપ્રસિદ્ધ ધાર્મિક સંસ્‍થા શ્રી ૫ નવતનપુરીધામ, ખીજડા મંદિર ખાતે આજથી ૨૫ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૨ સુધી ત્રિદિવસીય મહામતિશ્રી પ્રાણનાથજીના પ્રાગટ્‍ય મહોત્‍સવનો પ્રારંભ થયો છે.

પ્રાણનાથજી મહારાજના પ્રાગટ્‍ય મહોત્‍સવ પ્રસંગે જામનગર અને આસપાસના અન્‍ય રાજયો ઉપરાંત દેશ વિદેશમાંથી આવેલા સુંદરસાથજી ભાવિકોની ઉપસ્‍થતિમાં વહેલી સવારે તારતમ સાગરની અખંડ પારાયણ નો શ્રી કૃષ્‍ણ પ્રણામી ધર્માચાર્ય ૧૦૮ કૃષ્‍ણમણીજી મહારાજ અને સંતો મહંતોની ઉપસ્‍થિતિ વચ્‍ચે પ્રારંભ થયો હતો.

પ્રતિવર્ષે મહામતી જેમ આ વર્ષે પણ આજથી શ્રી પ્રાણનાથજીના પ્રાગટ્‍ય મહોત્‍સવનો દબદબાભેર પ્રારંભ થયો છે. ત્રિ દિવસીય શ્રી પ્રાણનાથજી પ્રાગટ્‍ય મહોત્‍સવના પ્રારંભે જામનગરના આણંદાબાવા સેવા સંસ્‍થાના મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજ, મોટી હવેલી જામનગરના પૂ. વલ્લભરાયજી મહોદય, સ્‍વામિનારાયણ સંપ્રદાયના પૂ. ધર્મનિધિજી મહારાજ, બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય પ્રેમીલાબેન, એશ્વર્યાબેન સહિતના સંતો મહંતો ઉપરાંત ગુજરાત રાજયના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, મેયર બીનાબેન કોઠારી, પૂર્વ કૃષિ મંત્રી અને ધારાસભ્‍ય આર.સી. ફળદુ, વિશ્વ હિન્‍દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાર્થના અધ્‍યક્ષ ભરતભાઈ મોદી, શહેર ભાજપ ડો. વિમલભાઈ કગથરા, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, શાસનના નેતા કુસુમબેન પંડ્‍યા, દંડક કેતનભાઇ ગોસરાણી, શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, મેરામણભાઇ ભાટુ, જામનગર પત્રકાર મંડળના મંત્રી અને વિશ્વ હિન્‍દુ પરિષદ જામનગર જિલ્લાના પ્રચાર પ્રસાર સંયોજક કિંજલભાઈ કારસરીયા, કોર્પોરેટરો દિવ્‍યેશભાઈ અકબરી, ગોપાલભાઈ સોરઠીયા, તાલુકા ભાજપના પ્રમુખ મુકુંદભાઈ સભાયા, પૂર્વ ભાજપના મહામંત્રી ડો.વિનોદભાઈ ભંડેરી, વિશ્વ હિન્‍દુ પરિષદ જામનગર જિલ્લાના અધ્‍યક્ષ ભરતભાઈ ડાંગરિયા, ઉપાધ્‍યક્ષ રમેશભાઈ તારપરા, સહમંત્રી હેમંતસિંહ જાડેજા, ધર્મચાર્ય સંપર્ક સંયોજક સુરેશભાઈ ગોંડલીયા, માતૃશક્‍તિ સંયોજીકા હીનાબેન અગ્રાવત સહિતના સામાજીક તેમજ રાજકીય મહાનુભાવો પણ ઉપસ્‍થિત રહ્યા હતા. અને દિપ પ્રાગટય કરીને મહાનુભાવોએ શ્રી કૃષ્‍ણ પ્રણામી ધર્માચાર્ય ૧૦૮ કૃષ્‍ણમણીજી મહારાજના આશીર્વાદ મેળવ્‍યા હતા.

 શ્રી ૫ નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતે ચાલી રહેલ પ્રાણનાથજી પ્રાગટ્‍ય મહોત્‍સવના પ્રથમ દિવસે પ્રસંગીક ઉદબોધન કરતા ૧૦૮ શ્રી કૃષ્‍ણમણીજી મહારાજે મહામતી શ્રી પ્રાણનાથજીના જીવન અંગે વાત કરી સમગ્ર વિશ્વને શાંતિ અને એકતાના તાંતણે બાંધવા ઙ્કસુખ શિતલ કરું સંસારઙ્ઘ યુક્‍તિને ચરીતાર્થ કરી હતી. મુગલોના આક્રમણ વચ્‍ચે હિન્‍દુ ધર્મના રક્ષણ તેમજ સંરક્ષણ માટે મહામતિશ્રી પ્રાણનાથજીએ દેશ-વિદેશમાં જાગણીનું કાર્ય કર્યું હતું. સદગુરુ શ્રી દેવચંદ્રજી પાસેથી દીક્ષા લઈને વિશ્વમાં પ્રણામી ધર્મને પ્રસ્‍થાપિત કરનાર પ્રાણનાથજીના જન્‍મોત્‍સવ ઉજવવામાં આવી રહ્યો છે. હાલમાં ઇતિહાસકારો મહામંત્રી શ્રી પ્રાણનાથજીના જીવન અને તેના યોગદાન ઉપર સંશોધન કરી રહ્યા છે. ત્‍યારે મહામતી શ્રી પ્રાણનાથજીના પ્રાગટ્‍ય મહોત્‍સવના પાવન પ્રસંગે લોકોએ પોતાના જીવનમાં પણ તેમના વિચારો ઉતારી ધન્‍ય બનવા આહવાન કર્યું હતું.

પ્રાણનાથજી પ્રાગટ્‍ય મહોત્‍સવના બીજા દિવસે એટલે કે, આવતીકાલે સવારે ૧૦ કલાકે પ્રાગટ્‍ય મહોત્‍સવની મહાઆરતી, દર્શન તથા મંદિરના શિખર ઉપર નૂતન ધ્‍વજારોહણ થશે  ત્‍યાર બાદ બપોરે ૪ કલાકે શ્રી ૫ નવતનપુરી ધામ, ખીજડા મંદિરથી વિશાળ શોભાયાત્રા પણ નીકળશે. જે શોભાયાત્રા જામનગર શહેરના મુખ્‍ય માર્ગો પરથી ફરી મહામતી શ્રી પ્રાણનાથજીના જન્‍મ સ્‍થાન શ્ન શ્રી પ્રાણનાથ મેડી મંદિર' થઈ આ શોભાયાત્રા નગર પરિભ્રમણ કરી પુનઃ ખીજડા મંદિરે પહોંચી સંપન્ન થશે.

તા. ૨૫ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૨ ને રવિવારના રોજ ‘શ્રી તારતમ સાગર'ના શ્રી ૧૦૮ પારાયણની સવારે ૧૦:૩૦ વાગ્‍યે પૂર્ણાહુતિ થશે.

જામનગરમાં શરૂ થયેલા ત્રિદિવસીય શ્રી પ્રાણનાથજી પ્રાગટ્‍ય મહોત્‍સવ નિમિત્તે સવારે ૯ થી ૧૧:૩૦ શ્રી તારતમવાણીની ચર્ચા કરવામાં આવી હતી. બપોરે ૪ થી ૬:૩૦ સત્‍સંગ પ્રવચનો અને રાત્રે ભજન સંધ્‍યા , રાસ - ગરબા , ધાર્મિક નાટક જેવા વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ પ્રસંગે જામનગર શહેર, જિલ્લા તેમજ બહાર ગામના વિશિષ્ટ અતિથિઓને આમંત્રિતો પણ  ધાર્મિક મહોત્‍સવમાં લાભ લેવા આવી પહોંચ્‍યા હતા.

ધાર્મિક વ્‍યાખ્‍યાનોમાં શ્રીકૃષ્‍ણ પ્રણામી ધર્માચાર્યશ્રી ૧૦૮ કૃષ્‍ણમણિજી મહારાજશ્રી તથા સમગ્ર ભારતભરમાંથી પધારેલા સંતોના વ્‍યાખ્‍યાનો અને શ્રી તારતમ સાગરની ચર્ચાનો ભાવિકો ધર્મલાભ લઇ રહ્યા છે. આ મહોત્‍સવના સુચારુ સંચાલન - વ્‍યવસ્‍થા માટે ટ્રસ્‍ટીઓની રાહબરી નીચે વિવિધ સમિતિઓના કાર્યકરો ખડેપગે સેવા આપી રહ્યા છે.

આજથી શરુ થયેલા પ્રણનાથજી પ્રાગટ્‍ય મહોત્‍સવનાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂ.ચંદનસૌરભજી મહારાજ દ્વારા કરવામાં આવ્‍યું હતું.

(1:19 pm IST)