Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

નર્મદા કેનાલ, સ્મૃતિ વન, રણ અને હાઇવેને જોડતા રસ્તા સહિતના કચ્છમાં અધૂરા કામોની સમીક્ષા કરતા ડો. નીમાબેન આચાર્ય

આયોજનપૂર્વક વહેલી તકે અધૂરા કામો પૂર્ણ કરવા વિધાનસભા અધ્યક્ષાની તાકીદ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૩ : કલેકટર કચેરી ભુજ મધ્યે વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યની અધ્યક્ષતા હેઠળ નર્મદા કેનાલ, જિલ્લાના હાઈવે બાબતે સબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લામાં નર્મદા નહેરની થયેલી કામગીરી, કચ્છ શાખા નહેરની વર્તમાન સ્થિતિ, અવરોધો અને આયોજન, સ્મૃતિવન, ભુજ-ભચાઉ હાઈવે-ભૂજોડી-ભચાઉ બ્રિજ અને ભુજથી ખાવડા નજીકના સરહદી રણ વિસ્તાર ધર્મશાળાને જોડતાં હાઈવે રોડ, કચ્છ બનાસકાંઠાને જોડતાં લખપતના ઘડુલીથી બનાસકાંઠાના સાંતલપુરને જોડતાં રણ રસ્તા વગેરેની સમીક્ષા કરવામાં આવી હતી.

નર્મદા કેનાલમાં ફળાઉ ઝાડનું વળતર, પ્રમોલગેશન અને ફળાઉ ઝાડ વળતર, પ્રમોલગેશન તેમજ વધારાના સ્ટ્રકચરની કામગીરીના પ્રશ્નોનો નિરાકરણ બાબતે કલેકટર પ્રવિણા ડી.કે. અને અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યના સંકલનથી ઝડપથી પૂર્ણ કરવા સહયોગ આપવા જણાવ્યું હતું.

નર્મદા જમીન સંપાદન બાબતે વી.એ.પ્રજાપતિએ વિગતો પુરી પાડી હતી. નર્મદા કચ્છ શાખા નહેરની અધતન સ્થિતિમાં ૪.૯૫૪ કિમી. ખેડૂતોના અવરોધો અને નિરાકરણ બાબતે સરદાર સરોવર નર્મદા નિગમમાં કરવાની થતી જમીન સંપાદન બાબતે ડો.નીમાબેને વિગતે માહિતી મેળવી જરૂરી સહયોગ આપવા તેમજ માર્ગદર્શન સૂચવ્યા હતા. વહેલી તકે નર્મદા નિગમની કામગીરી પૂર્ણ થાય તે માટે પ્રતિનિધિ બની કામગીરી કરવા સૌને જણાવેલ.

સ્મૃતિવન પ્રોજેકટની કામગીરીની વિગતો કાર્યપાલક ઈજનેર વી.એન.વાઘેલા પાસે જાણીને ફેબ્રુઆરી-૨૨ સુધી કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું હતું. તેમજ આસપાસ અન્ય વિકાસકામો બાબતે ચર્ચા કરી હતી.

શ્રી એમ.એચ.મેહતા એઝયુકયુટીવ માર્ગ વિકાસ નિગમ દ્વારા ભુજ-ભચાઉ રોડ ભૂજોડી બ્રિજના કામની પ્રક્રિયા માટે સમીક્ષા કરવામાં આવી હતી.

અધ્યક્ષાશ્રીએ કામગીરીની ગતિ બાબતે પ્રજાને પડતી અગવડો બાબતે અને ઝડપભેર કામની પ્રગતિ કરવા બાબતે સબંધિતોને આયોજનથી કામગીરી કરવા તેમજ ડાયવર્ઝન રોડની પ્રપોઝલ કરવા જણાવ્યું હતું.

ભુજ-ધર્મશાળા રોડ માટે એમ.એમ.વીસાવડીયા નેશનલ હાઈવે ગાંધીધામ રોડ દ્વારા અધ્યક્ષાને વિગતે માહિતી પુડી પાડી હતી. ત્રણ મેજર અને ૧ માઇનર બ્રીજ થઇને ડિસેમ્બર સુધી કામ પૂર્ણ થશે તેવું અધ્યક્ષાશ્રીએ જણાવ્યું હતું.

ધર્મશાળા રોડ ફોરલેનમાં અને મજબૂત કરવા તેમજ માતાના મઢથી રવાપર રોડ, દયાપરથી સુભાષપર રોડ, હાજીપીરથી ઘડુલી કામની પ્રક્રિયા પર, અધ્યક્ષા ડો. નીમાબેન અને ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ પણ ચર્ચા કરી હતી. ઘડુલી સાંતલપુર રોડ, ભુજથી અંજાર રોડ બાબતે પણ ચર્ચા કરાઇ હતી. પુનઃફરી કામગીરીની વિશેષ નર્મદા નહેર, ફળાઉ ઝાડ, ખુલ્લી કેનાલ કે પાઇપલાઇન અંગે ચર્ચા કરીશું એમ પણ ઝડપથી કામગીરી કરવા અધિકારીઓને જણાવાયું હતું.

આ તકે અબડાસા ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, નિવાસી અધિક કલેકટર હનુમંતસિંહ જાડેજા, ભુજ પ્રાંત અધિકારી અતિરાગ ચપલોત, મામલતદાર સી.આર.પ્રજાપતિ, આર એન્ડ બી.ના કાર્યપાલક ઈજનેર વાઘેલા, ભચાઉ ગાંધીધામ જમીન સંપાદન અધિકારી વી.એ.પ્રજાપતિ, કાર્યપાલક ઈજનેર નેશનલ હાઈવે ડીવીઝન આદિપુર, જીએસઆરડીસી લિ. ભુજ-કચ્છ, માર્ગ અને મકાન પંચાયત અને રાજય કચ્છ-ભુજ તેમજ સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(9:50 am IST)