Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

જોટાણાના ભટાસણ ગામના વિકાસમાં વિદેશમાં વસતા એનઆરઆઈ પરિવારોનો છે સિંહફાળો

એનઆરઆઇ પરિવારે ગામમાં રૂ.1 કરોડ 51 લાખના ખર્ચે પ્રાથમિક શાળાનું અદ્યતન મકાન બનાવી આપી વતનનું ઋણ અદા કર્યું

જોટાણા તાલુકાના ભટાસણ ગામના વિકાસમાં વિદેશમાં વસતા એનઆરઆઈ પરિવારોનો સિંહફાળો છે. આવા જ એક એનઆરઆઇ પરિવારે ગામમાં રૂ.1 કરોડ 51 લાખના ખર્ચે પ્રાથમિક શાળાનું અદ્યતન મકાન બનાવી આપી વતનનું ઋણ અદા કર્યું છે.

ભટાસણ ગામમાં હાલમાં જ શિક્ષણ ક્ષેત્રે કેનેડામાં વસતા એનઆરઆઈ પટેલ મહેન્દ્રકુમાર પ્રહલાદભાઈ મગનદાસ ભગત પરિવારએ મોટું યોગદાન આપ્યું છે. ભટાસણ ગામે અનુપમ પ્રાથમિક શાળા જર્જરિત થઈ જતા શ્રી વેરાઈ માતાજી સંસ્થાન ના પ્રમુખ મુકેશભાઈ પટેલ અને પૂર્વ શિક્ષક ગીરીશભાઈ પટેલ તથા ગ્રામજનો દ્વારા ગામમાં શાળાના નવીકરણ માટે પ્રસ્તાવ મુકયો હતો. ત્યારે કેનેડામાં રહેતા એનઆરઆઇ પરિવારે આ ભગીરથ કાર્ય કરવાનું બેડું ઝડપ્યું હતું. મહેન્દ્રકુમાર પી પટેલ પરિવારે વતન અને સ્કૂલ નું ઋણ ચૂકવવા માટે આગળ આવી ખુબ જ ટૂંકા સમયમાં આ શાળાના નવીનીકરણ નું કામ પૂર્ણ કરી ભવ્ય લોકાર્પણ અને નામકરણ કરી પટેલ મણીબેન પહેલાદભાઈ મગનદાસ અનુપમ પ્રાથમિક શાળા ને ખુલ્લી મૂકી હતી.

આ શાળાની સુવિધા માં આર્કિટેક ડિઝાઇન થી સજજ ભૂકંપ પ્રૂફ 10 ઓરડા બનાવવામાં આવ્યા છે. ઠંડા પાણી નો વોટર પ્લાન્ટ, અદ્યતન કોમ્પ્યુટર રૂમ, પ્રયોગશાળા, સીસીટીવી કેમેરા, ડિજિટલ પોજેક્ટર થકી શિક્ષણ તથા અન્ય સુવિધાઓથી સજ્જ છે. જેના થકી બાળકો પોતાના આવનાર ભવિષ્ય નું ચિંતન કરશે. ભટાસણ ગામ માં દરેક જાતિ ના લોકો હળી મળી ને રહેશે. જેથી ગામમાં એકતામાં અનેકતા જોવા મળે છે. ગામના વિકાસમાં NRI પરિવાર સહિત ગ્રામજનો પણ સહયોગ આપી પોતાના ગામને વિકાસના પંથે આગળ ધપાવી પોતાના પંથકમાં એક આગવી ઓળખ ઉભી કરી છે.

(9:00 pm IST)