Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

ભાવનગરના રામપર - ગોરિયાળીમાં લક્ષ્મણભાઇ જાંબુચાની હત્યા

હત્યાની ઘટનામાં મૃતકના ભાઇ - ભાભી અને ભત્રીજા વિરૂધ્ધ ગુન્હો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૨૪ : ભાવનગરના ઘોઘાના રામપર - ગોરિયાળી ગામે બનેલ ખુનના બનાવ અંગે મૃતકના ભાઇ - ભાભી અને ભત્રીજાઓ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

બનાવની વિગત એવી છે કે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના રામપર - ગોરિયાળી ગામે રહેતા લક્ષ્મણભાઇ મોહનભાઇ જાંબુચા (ઉ.૪૬)ની ગઇકાલે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા થઇ હતી. આ બનાવ અંગે મૃતક લક્ષ્મણભાઇની દિકરી માયાબેન નરશીભાઇ ગોહેલે ઘોઘા પોલીસ સ્ટેશનમાં તેના દાદા તેજા મોહનભાઇ જાંબુચા, ભાભુ રતનબેન, તેના દિકરા અશ્વિન, તુલસી, જેરામ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે અશ્વિન અને તુલસીના દિકરાઓ દોઢેક વર્ષ પૂર્વે કુવામાં પડી જતા મરણ ગયેલ જે બનાવ અંગે તમામે તેણીના માતા કમુબેને બાળકોને કુવામાં નાખી દીધેલાની શંકા રાખી આક્ષેપો કરતા હતા. આ અંગેની શંકા રાખી તેના પિતા ઉપર આ લોકોએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવેલ છે.

આ અંગે ઘોઘા પોલીસે ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. આ બનાવની તપાસ ઘોઘા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. એ.કે.વિઝુડા ચલાવી રહ્યા છે.

(10:44 am IST)