Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

ભાવનગર નજીક ઝાડી - ઝાંખરા વચ્ચે ભડલી ગામના રણજીતસિંહ ગોહિલનો મૃતદેહ મળ્યો : હત્યાની આશંકા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૨૪ : ભાવનગર નજીક સિહોર ભડલી રોડ પર ઝાડી - ઝાંખરા વચ્ચે યુવાનનો મૃતદેહ મળી આવતા સ્થળ પર લોકોના ટોળા એકઠા થયા હતા. આ અંગેની જાણ થતાં સિહોર પોલીસનો સ્ટાફ દોડી આવ્યો હતો અને મૃતદેહનો કબ્જો લઇ તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી તપાસ કરતા મૃતક યુવા સિહોરના ભડલી ગામના રણજીતસિંહ કુંવરભા ગોહિલ (ઉ.૩૭)નો હોવાનું ખુલવા પામ્યું હતું.

મૃતક યુવાન રણજીતસિંહના માથાના ભાગે ઇજાના નિશાન હોય પોલીસે હત્યાની આશંકા સાથે તપાસ હાથ ધરી છે. મૃતક યુવાન રણજીતસિંહ પરણીત હોવાનું અને તેમને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર હોવાનું જાણવા મળેલ છે. તેમના બંને સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ બનાવ અંગે સિહોર પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

(11:30 am IST)