Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

રાજકોટ જીલ્લાના ધોરાજીના પ્રગતિશીલ ખેડૂતની સિદ્ધિઃ 150 રૂપિયાના 600 જેટલા ચંદનના છોડ વાવ્‍યા અને હવે કરોડો રૂપિયા મળશે

15 વર્ષ બાદ એક વૃક્ષ ઓછામાં ઓછુ 2 લાખનું થઇ જાય

ધોરાજી: ગુજરાતના ખેડૂતો દીવસેને દિવસે પ્રગતિશીલ બનતા જાય છે અને ખેતીમાં કંઈક નવું કરીને વધુ આવક મેળવવા માટે પ્રયત્નશીલ છે. ધોરાજીના આવા જ એક ખેડૂતે ગુજરાતમાં અશકય એવી ચંદનની ખેતી કરીને પોતાની ભવિષ્યની આવક નોંધાવી લીધી છે અને માત્ર થોડા રોકાણે લાખોનો નફો કરશે. રાજકોટ જિલ્લાના ધોરાજીના ભગવાનજીભાઈ ચવાડીયા, 55 વર્ષના આ ખેડૂત પોતાની ખેતીમાં કંઈક અલગ અલગ કરવા માટે પ્રયત્નશીલ છે. થોડા સમય પહેલા ભગવાનજીભાઈએ યુ ટ્યુબ ઉપર ચંદનની ખેતી વિષે જાણ્યું અને તેઓને પોતાન ખેતરમાં ચંદનનું વાવેતર કરવાનો વિચાર આવ્યો અને આ માટે તેણે શરૂઆત કરી. તેણે તેના ખેતરના એક એકરમાં ચંદનના વૃક્ષોનું વાવેતર કર્યું.

આજથી ચાર વર્ષ પહેલા તેણે માત્ર 120 રૂપિયા લેખે ચંદનના એક છોડ લીધો અને અંદાજિત 600 જેટલા છોડ તેણે તેના ખેતરમાં વાવ્યા અને આજે આજે 4 વર્ષ બાદ તે ખુબજ સારી રીતે ઉછરીને મોટા બની પણ ગયા છે. ચંદનના વૃક્ષોના વાવેતરમાં ફાયદા કહેતા ભગવાનજીભાઈ જણાવે છે કે, ચંદનના વૃક્ષોને એક વખત વાવ્યા બાદ તેને માત્ર 2 વર્ષ સુધી થોડી સંભાળ રાખવાની હોય છે અને ત્યાર બાદ તેને કોઈ સાર સંભાળની જરૂર રહેતી નથી. એક વખત તે વૃક્ષ બની ગયા પછી તેને જ્યાં સુધી કાપવામાં ના આવે ત્યાં સુધી કોઈ સંભાળની જરૂર નથી.

માત્ર આસપાસ થતા નિંદામણ સિવાય કોઈ કામ કરવું પડતું નથી. જયારે આવકની વાત કરીએ તો ભગવાનજીભાઈએ તો તેનું ભવિષ્ય ખુબજ સુરક્ષિત કરી લીધું છે, કારણ કે એક ચંદનનો છોડ માત્ર 120 રૂપિયાનો આવે અને તેને વાવ્યા બાદ 15 વર્ષ સુધી કોઈ માવજત નથી અને 15 વર્ષ બાદ એક વૃક્ષ ઓછોમાં ઓછા 2 લાખ રૂપિયાની કિંમતનું થઇ જાય છે. ત્યારે જોવા જઈએ તો ભગવાનજીભાઈ ખુબજ ઓછી મહેનત અને રોકાણ સાથે ભવિષ્યમાં લખો રૂપિયા કમાઈ લેશે. આ સાથે ભગવાનજીભાઈ અન્ય ખેડૂતોને પણ ચંદનનું વાવેતર કરવા માટે જણાવે છે, સાથે સરકાર પણ ચંદનની ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરે છે, સાથે વૃક્ષના હિસાબે 120 રૂપિયા વૃક્ષ સામે 30 રૂપિયાની સબસીડી પણ આપે છે.

ભવાનજીભાઈએ કરેલ ચંદનના વાવેતરને જોવા માટે અનેક ખેડૂતો આવે છે અને ચંદનની ખેતી જોઈને આશ્ચર્ય પણ કરે છે, સાથે અહીં આવતા ખેડૂતો પણ ચંદનની ખેતી કરવા પ્રેરાય છે અને આ બાબતની તમામ માહિતી ભગવાનજીભાઈ તેમને હોંશે હોંશે આપે છે . જેને લઈને સરકારની ચંદનના વાવેતરની નીતિ અને સબસીડીથી ખેડૂતો પ્રભાવિત થઇ રહ્યા છે અને આવતા ભવિષ્યમાં અહીં ચંદનનું વાવેતર વધે તેવી શક્યતા છે. ટેક્નોલોજી અને માહિતીનો ધોધ વહાવતા સોશિયલ મીડિયા દ્વારા ખેડૂતો પણ હવે નવી નવી માહિતી મેળવી પોતાની પરંપરાગત ખેતી છોડીને અન્ય ખેતી તરફ વળતા ખેડૂતોને હવે તેઓનો વિકાસ કરવા માટે માત્ર લગન અને મહેનતની જરૂર છે ત્યારે અન્ય ખેડૂતો પણ  ભગવાનજીભાઈ જેવા ખેડૂત પાસેથી પ્રેરણા લે તે જરૂરી છે.

(4:17 pm IST)