Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

મોરબીની ઐતિહાસિક એલ ઈ કોલેજનું રીનોવેશન કરવા મુખ્યમંત્રીને રજૂઆત

ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ પૂર્વ વિદ્યાર્થીઓને સાથે રાખીને મુખ્યમંત્રીએ ઘટતું કરવા ભલામણ કરી

મોરબીની ઐતિહાસિક ધરોહર સમાન લખધીરજી એન્જિનિયરિંગ કોલેજનું બિલ્ડીંગ જર્જરિતહાલતમાં છે અને જોખમી બની જવાથી આ ઐતિહાસિક બિલ્ડીંગને રીનોવેશન કરવાની તાતી જરૂરિયાત છે. જેથી એલ.ઈ. કોલેજના ઐતિહાસિક મકાનની જાળવણી બાબતે ધારાસભ્યએ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સાથે રાખીને મુખ્યમંત્રીએ ઘટતું કરવા ભલામણ કરી હતી.

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે મોરબીની ઐતિહાસિક ધરોહર સમાન લખધીરજી એન્જિનિયરિંગ કોલેજનું બિલ્ડીંગ તત્કાલીન રાજવીએ પોતાનો પેલેસ આપીને તેમાં વર્ષ 1951 દરમિયાન ઈજનેર કોલેજ ચાલુ કરાવી હતી. આ એલ.ઇ. કોલેજ જે તે વખતે દેશની 10 ઈજનેરી કોલેજો પૈકીની એક ગણાતી હતી. પરંતુ આ એલ.ઇ. કોલેજનું બિલ્ડીંગ કાળક્રમે જર્જરિત થઈ ગયું છે. જેથી એલ ઇ. કોલેજનું રીનોવેશન કરવું ખૂબ જરૂરી છે. આથી આ કોલેજમાં અભ્યાસ કરી ચૂકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના લેન્કો ગ્રુપને સાથે રાખીને ધારાસભ્યએ રાજ્યના મુખ્યમંત્રીની રૂબરૂ મુલાકાત લઈને એલ.ઈ. કોલેજના ઐતિહાસિક મકાનની જાળવણી બાબતે રજૂઆત કરી હતી.

(10:54 pm IST)