Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

ગોંડલ સંપ્રદાયના સાધ્વીરત્ના પૂ.હર્ષિદાજી મ.સ.એ જંકશન પ્લોટ ઉપાશ્રયે આજે તા. 25ના સાંજે 4:23 કલાકે સંથારાના પચ્ચખાણ અંગીકાર કર્યા

રાજકોટ: સૌરાષ્ટ્રના કાલાવડ ( શીતલા ) ની પાવન ભૂમિ ઉપર તા.10/5/55 ના તેઓએ ધમૅ પરાયણ પિતાભગવાનજીભાઈ અને ધમૅ વત્સલા રત્નકુક્ષિણી માતુશ્રી કાન્તાબેનની કૂખે વોરા પરિવારના ખોરડે તેઓનો જન્મ થયેલ.પરિવારજનોએ આવનાર બાળકીનું નામ હર્ષિદા રાખ્યું.ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનો કુલ સાત ભાઈ - બહેનોના પરિવારમાં તેઓનો ઉછેર થયો.જામનગર સ્થિત જવાહરભાઈ મણીલાલ મહેતા તેઓનું મોસાળ.

મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે કાલાવડ ગામ જ એવું છે કે પ્રત્યેક જૈન પરિવાર ધમૅથી ભાવિત અને પ્રભાવિત થાય છે.આ ભૂમિ ઉપરથી અનેક આત્માઓ દીક્ષિત થયા છે.કુમારી હર્ષિદાને જૈનશાળામાં નિયમિત જવાનું. ધમૅ અભ્યાસમાં પણ સૌથી આગળ હોય.કાલાવડ સંઘના ઉત્સાહિ પ્રમુખ પ્રફુલભાઈ મહેતાના પ્રમુખ સ્થાને તા.15/5/1983 ના શુભ દિને 28 વષૅની વયે કાલાવડની ધન્ય ધરા પર ગોંડલ સંપ્રદાયના જશ પરિવારના સાધ્વીરત્ના શાસન રત્ના સ્વ.પૂ.નમૅદાબાઈ મ.સ.ના શ્રી મુખેથી કરેમિ ભંતેનો પાઠ ભણી  સંયમ ધમૅનો સ્વીકાર કર્યો.પૂ.વખતબાઈ મ.સ.ના સુશિષ્યા સાધ્વીરત્ના પૂ. હંસાબાઈ મ.સ.ના સુશિષ્યા જાહેર થયા.શાસનચંદ્રિકા ગુરુણી મૈયા પૂ.હીરાબાઈ મ.સ.ના આજ્ઞાનુવર્તી સાધ્વી રત્ના પૂ.વિશાખાજી મ.સ.એવમ. પૂ.હર્ષિદાજી મ.સ.એ સૌરાષ્ટ્ર, હાલાર - જામનગર,ઓખા,દ્રારકા વગેરે ક્ષેત્રોમાં જિનાજ્ઞા મુજબ વિચરણ કર્યું. અત્રે નોંધનીય છે કે સાધ્વીરત્ના પૂ.હર્ષિદાજી મ.સ.ના સંયમજીવનમાં પરમ શ્રધ્ધેય પૂ.ગુરુદેવ શ્રી ધીરજમુનિ મ.સા.અનેક રીતે સહાયરૂપ બનેલ.ગોંડલ સંપ્રદાયના ગાદીના ગામ ગોંડલમાં સાધ્વી રત્ના પૂ.દયાબાઈ મ.સ.આદિ સતિવૃંદ સાથે કરેલું ચાતુર્માસ પૂ.હર્ષિદાજી માટે અવિસ્મરણીય રહ્યું.ગત ચાતુર્માસ તેઓનું રાજકોટ જૈનચાલ સંઘમાં હતું. ચૈત્રમાસની આયંબિલ ઓળીની આરાધના પણ જૈન ચાલ સંઘમાં કરેલ.સંઘ પ્રમુખ પરેશભાઈ સંઘાણી આદિ સેવાભાવી કાયૅકરોએ અજોડ સેવા - વૈયાવચ્ચનો લાભ લીધેલ.ઈ.સ.2020 નું ચાતુર્માસ રાજકોટ જંકશન પ્લોટ ઉપાશ્રયમાં વ્યતિત કરી રહ્યાં છે.સંઘ સેવકો હિતેનભાઈ મહેતા,કમલેશભાઈ કોઠારી વગેરે સેવામાં ખડેપગે હાજર હોય છે.ગોંડલ સંઘ પ્રમુખ પ્રવિણભાઇ કોઠારી,મોટા સંઘના પ્રમુખ ઈશ્વરભાઈ દોશી,રોયલપાકૅ સંઘ પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠ,ઈન્દ્રપ્રસ્થનગર સંઘના જયશ્રીબેન શાહ,જામનગર સંઘ પ્રમુખ પંકજભાઈ શાહ વગેરે અગ્રણીઓ અવાર - નવાર પૂ.હર્ષિદાજી મ.સ.ના દશૅનાર્થે આવી આરોગ્યની પૃચ્છા કરે છે.સેવાભાવી ડૉ. મનીષભાઈ મહેતા,ડૉ.ચેતન પટેલ તથા ડૉ. કેતનભાઈ મહેતાની સેવા પ્રશંસનીય રહી છે.

સાધ્વી રત્ના પૂ.હર્ષિદાજી મ.સ.અસહ્ય વેદના વચ્ચે પણ તેઓનો સમાધિભાવ અજબગજબનો છે.નિશ્રાદાતા પૂ.વિશાખાજી મ.સ.પણ અગ્લાન ભાવે સેવા - વૈયાવચ્ચમાં  સતત રત રહે છે.

તા.25 ના રોજ સાંજે 4:23 કલાકે રાજકોટ મોટા સંઘ સંચાલિત જંકશન પ્લોટ ઉપાશ્રય ખાતે પૂ.વિશાખાજી મ.સ.એ પૂ.હર્ષિદાજી મ.સ.ને સંથારા - અનશન વ્રતના પચ્ચખાણ અંગીકાર કરાવેલ છે તેમ મોટા સંઘના પ્રમુખ ઈશ્વરભાઈ દોશીએ જણાવ્યું છે.

(8:13 pm IST)