રાજકોટ તા. ૨૬ - ૭૪મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ધોરાજીના સર ભગવતસિંહજી હાઈસ્કુલ ખાતે વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. શ્રી શંકરભાઈ ચૌધરીએ આ પ્રસંગે ધ્વજવંદન અને રાષ્ટ્રગાન કરીને પરેડનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે અધિકારીઓ, કર્મચારીઓ, નાગરિકો પાસે જઈને પ્રજાસત્તાક પર્વનું અભિવાદન ઝીલ્યું હતું.
સ્વાતંત્ર્યવીરો અને માં ભોમના ચરણોમાં વંદન કરીને અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, મહારાજા ભગવતસિંહજીની ભૂમિ ઉપર ધ્વજવંદન કરવાનું સૌભાગ્ય મળતા ગર્વની લાગણી અનુભવું છું. મહારાજા ભગતસિંહજીએ સુશાસન અને ટાઉન પ્લાનિંગની શરૂઆત કરીને પ્રજાજનોની સુખાકારી માટે બહુમુલ્ય કામ કર્યું છે. આજે વડવાઓના સદકાર્યોમાંથી પ્રેરણા લઈને ભારત પ્રગતિના માર્ગે આગળ વધી રહ્યું છે.
અધ્યક્ષશ્રી ચૌધરીએ વધુમાં કહ્યું હતું કે, ભારત આજે પાંચ ટ્રિલિયન ઇકોનોમી સાથે મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે. આજે સમગ્ર વિશ્વ ભારત તરફ મીટ માંડીને બેઠું છે. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે G - 20નું નેતૃત્વ, જે ભારત માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે. અહી બેઠેલ દરેક બાળક અને આવનાર પેઢી ભાગ્યશાળી છે કે આવનાર દિવસોમાં ઉજ્જવળ કારકિર્દીના રૂપે વિકાસના ફળ તેમને ચાખવા મળશે.
રાષ્ટ્રના વિકાસમાં પ્રજાનો સહયોગ ખૂબ જરૂરી છે. આઝાદી વખતે મરવાનો સમય હતો પરંતુ હવે જવાબદાર નાગરિક બનીને દેશ માટે જીવવાનો સમય છે. સંવિધાનને મજબૂત બનાવી, નિયમોનું પાલન કરી, હક અને ફરજો અદા કરી, સ્વચ્છતા જાળવી, એકમેકને સહયોગી બનીને સાચા અર્થમાં દેશભક્ત બનીએ, તેમ શ્રી શંકરભાઈ ચૌધરીએ ઉમેર્યું હતું.
તેમણે કહ્યું હતું કે, આજે ભારતે દુનિયા સામે સીમાચિન્હરૂપ કામ કર્યું છે. વડાપ્રધાન શ્રી મોદીના નેતૃત્વમાં કોરોના સમયે નક્કર આયોજન સાથે સ્વદેશી વેક્સિન બનાવીને અન્ય દેશોના લોકોને પણ કોરોના સામે સુરક્ષા કવચ પૂરું પાડ્યું હતું. આ ઉમદા કામગીરીની નોંધ વિશ્વના નામી દેશોએ લીધી છે. આજે ભારત કૃષિ, શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગ ક્ષેત્રે ઝડપથી આગળ વધીને વિકાસ સાધી રહ્યો છે. ગુજરાતમાં અનેકવિધ યોજનાઓના અસરકારક અમલ થકી નીતિ આયોગના સર્વસમાવેશક વિકાસ, આરોગ્ય અને સુખાકારીમાં ગુજરાત વર્ષ ૨૦૨૦-૨૧માં ૮૬ના સ્કોર સાથે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે. પ્રાકૃતિક ખેતી થકી ખેડૂતો ગુણવત્તાયુક્ત પેદાશો થકી રાસાયણિક ખાતરોથી મુક્ત રાખે તે ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે.
આ તકે પ્રજાસતાક પર્વ નિમિત્તે યોજાયેલ પરેડ અને માર્ચ પાસ્ટમાં હથિયારધારી પોલીસ જવાનો, હોમગાર્ડના જવાનો, તથા ટ્રાફિક વોર્ડનના જવાનો, એન. એસ. એસ.ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પરેડ કમાન્ડરશ્રી પી. એચ. જાડેજાની આગેવાની હેઠળ કુલ ૬ પ્લાટુને ભાગ લીધો હતો. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અને સ્વચ્છ ભારત, પ્રાદેશિક વાહવ્યવહાર કચેરી દ્વારા માર્ગ સલામતી તેમજ ગુડ સમરિટન યોજના, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સર્વ શિક્ષા અભિયાન અને જ્ઞાનકુંજ પ્રોજેક્ટ, આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, ખેતીવાડી, બાગાયત અને આત્મા પ્રોજેક્ટ દ્વારા દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી, ૧૦૮ ઈમરજન્સી સેવા સહિતના વિવિધ કચેરીઓના ૧૩ જેટલા ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
ધોરાજી, જમનાવડ, સુપેડી, ભાયાવદર તેમજ રાજકોટની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રભક્તિ ગીતો પર સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા. મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ અવસરે વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ સ્વાતંત્ર્ય સેનાની સ્વ.શ્રી ધીરજલાલ લક્ષ્મીશંકર રાવલનાં ધર્મપત્ની શ્રીમતિ જશુમતીબેન રાવલનું સન્માન કર્યું હતું. રાજકોટ જિલ્લાના વિકાસ કામો માટે રાજકોટ કલેકટરશ્રી અરુણ મહેશ બાબુને રૂપિયા ૨૫ લાખનો ચેક અધ્યક્ષ શ્રી ચૌધરીના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. તેમજ વહીવટી તંત્ર દ્વારા જુદાં જુદા ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનારા આશરે ૪૦ થી વધુ નાગરિકો, કર્મચારીઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાંસ્કૃતિક કૃતિ રજુ કરનાર તમામ વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ધોરાજીના ધારાસભ્યશ્રી ડો. મહેન્દ્ર પાડલીયા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભૂપતભાઈ બોદર, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મનસુખભાઈ ખાચરિયા,પૂર્વ ધારાસભ્યશ્રી લલિત વસોયા અને પ્રવિણભાઈ માકડિયા, અગ્રણીઓ સર્વશ્રી
લલિત વોરા, કિશોર રાઠોડ, રણછોડભાઈ વઘાસિયા, ડી. એલ.ભાષા, ધોરાજી શહેરના સ્થાનિક અગ્રણીશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ સહિતના પદાધિકારીઓ, જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ, ધોરાજી પ્રાંત અધિકારીશ્રી જયેશ લીખીયા, ડી.વાય.એસ.પી. શ્રી ડોડીયા, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી બી.એસ.કૈલા, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી હિતેશ દિહોરા, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, જુદી જુદી કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ, અગ્રણીશ્રીઓ, સ્વતંત્ર સેનાનીના પરિવારજનો, શિક્ષકો, પ્રબુદ્ધ નાગરિકો અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી મનીષભાઈ જોશીએ કર્યું હતું.