Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

વાંકાનેર સફાઇ કામદારોની હડતાલ સમેટાઇ

નગર પાલીકાના ચીફ નિયામકે આદેશ કરતા કામદારો કામગીરીમાં લાગી ગયાઃ એક દિવસમાં જ હડતાલનો અંત આવ્‍યો

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા., ૨૬: વાંકાનેરમાં વિવિધ અણઉકેલ પ્રશ્નો ઉકેલવાની માંગણી સાથે ગઇકાલથી સફાઇ કામદારો હડતાલ ઉપર ઉતરી ગયા હતા અને ચીફ ઓફીસર સામે આક્ષેપો કર્યા હતા ત્‍યાર બાદ આજે સવારથી સફાઇ કામદારોની હડતાલ સમેટાઇ ગઇ છે. ગાંધીનગરથી નગરપાલીકાના ચીફ નિયામકે આદેશ કરતા  આજે બીજા દિવસે આ હડતાલ સમેટાઇ છે.

ગઇકાલે વાંકાનેર ખાતે ચીફ નિયામક,  કર્મચારીઓ તથા રાજકીય આગેવાનો સાથે રૂબરૂ ચર્ચા-વિચારણા બાદ સફાઇ કામદારોને કામે લાગી જવા માટે સુચના આપવામાં આવતા આ હડતાલ સમેટાઇ ગઇ છે અનેે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

જયારે નગર પાલીકાના પ્રમુખના હુકમ  મુજબના કામો ટેન્‍ડર દ્વારા થશે તે સિવાયની  કોઇ પણ કામગીરી કરવામાં નહિ આવે તેવો નિર્ણય લેવામાં આવ્‍યો છે. (૪.૧૦)

હિન્‍દુસ્‍તાનમાં એવુ તો કયાંય નથી કે પાલીકા કચેરીની જગ્‍યાએ ચીફ ઓફીસર અન્‍ય જગ્‍યાએ બેસીને કામગીરી કરેઃ ચીફ ઓફીસરે સફાઇ કામદારોને છુટા કરી દેવાની ધમકી આપીઃ જીતુભાઇ સોમાણી

રાજકોટ, તા., ૨૬: આ અંગે વાંકાનેર ભાજપ અગ્રણી જીતુભાઇ સોમાણી (મો.૯૩ર૮૮૬ર૨૪૮) એ અકિલાને જણાવ્‍યું હતું કે, ટાઉન હોલ ખાતે પાલીકા કચેરી કાર્યરત છે પરંતુ ચીફ ઓફીસર તેજલબેન અન્‍ય જગ્‍યાએ બેસીને કામગીરી કરી રહયા છે. હિન્‍દુસ્‍તાનમાં એવું તો કોઇ જગ્‍યાએ નથી કે પાલીકા કચેરી જે જગ્‍યાએ હોય તેના બદલે ચીફ ઓફીસર અન્‍ય જગ્‍યાએ બેસીને પોતાની કામગીરી કરે.

જીતુભાઇ સોમાણીએ વધુમાં જણાવ્‍યું કે,ચીફ ઓફીસર દ્વારા સફાઇ કામદારોને ધમકી પણ આપવામાં આવી છે અને છુટા કરી દેવાની ચીમકી પણ આપી છે. જેના મોબાઇલ રેકોર્ડીગ પણ અમારી પાસે છે. ચીફ ઓફીસર હાલમાં જયાં બેસે છે તે જગ્‍યા શહેરની બારોબાર છે અને ટાઉનહોલ શહેરની મધ્‍યમાં છે. જેથી અરજદારોને અને સફાઇ કામદારોને મુશ્‍કેલી ન પડે તે માટે ટાઉન હોલ ખાતે જ ચીફ ઓફીસર પોતાની કામગીરી કરે તે ઇચ્‍છનીય છે. (૪.૧૧)

વાંકાનેર પાલિકામાં હડતાલનું કારણ શું  હતું ?

રાજકોટ, તા.,૨૬:  વાંકાનેર પાલિકા ના સફાઈ કામદારો હડતાલ પર ગઇકાલે ઉતરી જતા એવી ચર્ચા છે કે પાલિકામાં કર્મચારીઓ ઉપર  ચોક્કસ નેતાઓનુ વર્ચસ્‍વ છે જ્‍યારે વહીવટી પાંખ ને સબંધ બીજા જૂથના નેતાઓ સાથે છે ઉપરાંત હાલમાં જ્‍યાં ઓફિસ છે તે જગ્‍યા ઓફિસ કામ માટે બરાબર ન લાગતા અને મુખ્‍ય તમામ કામકાજ કરવા આદેશ અપાતા આ મડાગાંઠ સર્જાયા ચર્ચાઈ રહ્યું છે જો કે આજે સવારથી હડતાલ સમેટાઇ જતા ઘીના ઠામમાં ઘી પડી ગયું છે. (૪.૧૦)

સરકારના રૂપીયા બચે તે માટે હું ૧૯૭પથી જયાં પાલીકા કાર્યરત છે ત્‍યાં બેસુ છુઃ સફાઇ કામદારોને ખોટા ભડકાવ્‍યા છે : ચીફ ઓફીસર તેજલબેન મુંધવા

રાજકોટ, તા.,૨૬:  આ અંગે વાંકાનેર પાલીકાના ચીફ ઓફીસર  તેજલબેન મુંધવાએ અકિલાને જણાવ્‍યું હતું કે, હાલમાં ટાઉનહોલ ખાતે પાલીકા કચેરી બેસે છે. ત્‍યાં રીનોવેશન કામગીરી પણ થઇ રહી છે. પરંતુ મારે કોઇ વધુ ખર્ચ કરવાની કે સરકારના રૂપીયા બગાડવાની ઇચ્‍છા ન હોવાથી હું ૧૯૭પ થી જે જગ્‍યાએ પાલીકા કચેરી બેસતી તે જગ્‍યાએ હું બેસુ છું.મારે કોઇ વધુ પડતી સુવિધાવાળી ઓફીસની જરૂર નથી. તેજલબેન મુંધવાએ વધુમાં જણાવ્‍યું કે, સફાઇ કામદારોને ખોટી રીતે ભડકાવવામાં આવ્‍યા છે. સફાઇ કામદારોના ચલણ પણ સીધા જ બેંકમાં જમા કરાવવા માટે સફાઇ કામદારોને કહેવામાં આવ્‍યું છે. જે કાયદેસર રીતે નગર પાલીકાના એકાઉન્‍ટ વિભાગમાં જમા કરાવવાના હોય છે. પાલીકાના ઇન્‍ચાર્જ પમુખ અને

પુર્વ પ્રમુખ સામે આક્ષેપો કર્યા છે.

(12:07 pm IST)