Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

તળાજાના ડુંગર ઉપર આવેલ ખોડિયાર માતાજીના મંદિરમાં ચોરી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા. ૨૬ : ભાવનગર જિલ્લાના તળાજાના પ્રસિદ્ધ તાલધ્‍વજ ડુંગર ઉપર આવેલ ખોડીયાર માતાજીના મંદિરના સળિયા તોડી અજાણ્‍યો શખ્‍સ મંદિરમાં પ્રવેશ્‍યો હતો અને માતાજીની મૂર્તિનો ચાંદીનો મુગટ, ચાંદીના કુંડળ, ચાંદીના છત્તર, સોનાની નથ અને સોનાની સર તેમજ રોકડા રૂ.૧૦૦૦ મળી કુલ રૂ. ૮૬,૦૦૦ ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.

મંદિરમાં લગાવેલા સી.સી.ટી.વી. કેમેરામાં ગત રાત્રીના ૧૨:૩૦ વાગ્‍યા આસપાસ અજાણ્‍યો શખ્‍સ મોઢા ઉપર કપડું બાંધી મંદિરમાં પ્રવેશ કરતો હોવાનું તેમજ કેમેરા ઉપર કપડું ઢાંકી દીધેલું જોવામાં આવ્‍યું હતું, ત્‍યારબાદ આ શખ્‍સ સવા બે વાગ્‍યા આસપાસ મંદિરની બહાર નીકળતો જોવામાં આવ્‍યો હતો.

ચોરીની આ ઘટના અંગે મંદિરના પૂજારી કૃણાલભાઈ નટુભાઈ અગ્રાવતે ફરિયાદ નોંધાવતા તળાજા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(12:21 pm IST)