Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

બગસરામાં વરસાદમાં પીજીવીસીએલનો કર્મચારી તણાઈ જતા મૃત્યુ :૧૮ કલાક ની જહેમત બાદ તંત્રને મૃતદેહ મળ્યો

મૃતક યુવાનના હજુ એક વર્ષ પહેલાં જ લગ્ન થયેલા: ૩૨ દિવસ પહેલા જ તેને ત્યાં બાળકનો જન્મ થયલો :પરિવારમાં માતમ છવાયો

બગસરાના શીલાણા ના રહેવાસી પીજીવીસીએલનો કર્મચારી રાત્રે ફરજ પર બગસરા કચેરીએ જઈ રહ્યો હતો તે દરમિયાન જામકા નજીક નદીમાં તણાઇ જતા તેનો મૃત્યુ નીપજયું હતું. 

વિગત અનુસાર શનિવારે સાંજના સમયે બગસરા પંથકમાં ખુબ જ વરસાદ ખાબક્યો હતો. વરસાદ થંભી ગયા બાદ બગસરા તાલુકાના શીલાણા ગામના વતની ખુશાલભાઈ ધીરુભાઈ વેકરીયા ઉંમર વર્ષ ૨૫ રાત્રિના ૮ કલાકે શીલાણા થી પોતાના ફરજ પરના સ્થળ બગસરા પીજીવીસીએલ કચેરીએ જવા માટે નીકળ્યા હતા પરંતુ ઘણો સમય વિત્યા છતાં ફરજ પર ન પહોંચતા ઘરના સદસ્યો તથા કચેરીના સાથી કર્મચારીઓ માં દોડધામ થઇ ગઈ હતી. રાત્રિના સમયે તપાસ કરતા તેનું બાઈક જામકા નજીક ના બેઠા પુલ પાસે નદીમાં મળી આવ્યું હતું. આ ઘટના બાબતે જામકા ના સરપંચ ભરતભાઈ ડાંગરના જણાવ્યા અનુસાર રાત્રીના લગભગ ૧૦ વાગ્યાથી આ કર્મચારીને શોધવા માટે પીજીવીસીએલ કચેરી, તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરી, સ્થાનિક જામકા ગામના લોકો  સહિતના શોધખોળમાં લાગી ગયા હતા તેમજ વહેલી સવારથી એનડીઆરએફની એક ટુકડી પણ આ કાર્યમાં જોડાઈ ગઈ હતી. તરવૈયાઓની ખૂબ જ મહેનતને અંતે બપોરે ૪ વાગ્યા આસપાસ કર્મચારી નો મૃતદેહ નદીના પટમા કાંપ  માંથી મળી આવેલ હતો. જેને બાદમાં પોસ્ટમોર્ટમ માટે બગસરા સરકારી દવાખાના મોકલી આપવામાં આવ્યો હતો. આશાસ્પદ યુવાનના મૃત્યુ થી શિલાણા પંથકમાં ઘેરો શોક ફેલાયો છે.

મૃતક યુવાનના હજુ એક વર્ષ પહેલાં જ લગ્ન થયેલા હતા તેમજ ૩૨ દિવસ પહેલા જ તેને ત્યાં બાળકનો જન્મ થયો હતો આ બનાવને પગલે પરિવારમાં પણ માતમ છવાયો છે

(9:35 pm IST)