Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા ગુજરાત સજ્જઃ વિજયભાઇ

પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ હાજરીમાં ઓકસીજન ટેન્કનું પૂ. રમેશભાઇ ઓઝાના હસ્તે લોકાપર્ણ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૬ :  કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા ગુજરાત સજ્જ હોવાનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ભાવસિંહજી જનરલ હોસ્પિટલમાં પૂ. રમેશભાઇ ઓઝાના હસ્તે ઓકસીજન ટેન્કનું કરેલ લોકાપર્ણ સમારંભમાં વર્ચ્યુઅલ હાજરી આપીને જણાવેલ છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભાવસિંહજી જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે કથાકાર ભાઇ શ્રી રમેશભાઇ ઓઝાની પ્રેરણાથી રૂ. ૭પ લાખના ખર્ચે કાર્યાન્વિત કરાયેલી ર૦ હજાર લીટર ક્ષમતાની ક્રાયોજેનિક ઓકસીજનની ટેન્કનું લોકાર્પણ ભાઇશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી એ જણાવ્યું હતું કે કોરોનાની આ વિશ્વ વ્યાપી મહામારીએ આપણને સૌને પ્રાણવાયુ ઓકિસજનનું મહત્વ જરૂરીયાત સમજાવી દીધા છે. ગુજરાતે કોરોના સામે લડત આપી બીજી વેવ કાબુમાં લેવા આપણે સફળતા મેળવી છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર અને સંસથાઓના સહયોગથી આપણે સંભવિત કોરોનાની ત્રીજી લહેર સામે યુધ્ધના ધોરણ સાવચેતીના પગલા રૂપે ઓકસીજનની સંભવિત જરૂરીયાતને પહોંચી વળવા ગુજરાત તૈયાર છે. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની પ્રેરણા અને સહયોગથી પોરબંદરમાં સિવિલ હોસ્પિટલમાં ર૦ હજાર લીટર ક્ષમતાની રૂપીયા ૭પ લાખના ખર્ચે ઓકસીજન ટેન્કનું નિર્માણ થયુ તે અંગે મુખ્યમંત્રીશ્રીએ ભાઇશ્રીનો આભાર વ્યકત કરી આ પ્રકલ્પથી પોરબંદર જિલ્લાને રાહત થશે તેમ જણાવ્યું હતું. ધાર્મિક સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓના સહયોગ તેમજ સરકારના આગોતરા આયોજન અને લોકોની જાગૃતિ સાથે ગુજરાત ત્રીજી લહેર સામે લડવા સજ્જ છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે કોરોના હજી ગયો નથી. સાવચેતી જ સલામતી છે. લોકો માસ્ક પહેરે, સામાજિક અંતર જાળવે, વેકસીન મુકાવે તે જરૂરી છે.

કથાકાર પૂ. રમેશભાઇ ઓઝાએ જણાવ્યું હતું કે કોરોનાની મહામારી સામે લોકોની સારવાર માટે સરકાર દ્વારા ઝડપી કાર્યવાહી અને વ્યવસ્થાઓ કરવામાં આવી છે. બીજી લહેર દરમિયાન આપણને ઓકસીજન જરૂરીયાત અનુભવાઇ, સંભવિત ત્રીજી લહેર છીએ. ભાઇશ્રીએ ત્રીજી લહેર ન આવે તેવી ઇશ્વરને પ્રાર્થના કરી જણાવ્યું હતું કે, જો આવે તો જરૂરીાયતવાળા બધા જ લોકોને ઓકસીજન મળી રહે અને સૌ નિરોગી રહે અને સૌનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરી હતી. ભાઇશ્રીએ પોરબંદર ખાતે દાતાઓ બજરંગલાલજી તાપડિયા, તુષારભાઇ જાની, ભુપેન્દ્રભાઇ કણસાગરા, ડી.એચ. ગોયાણી સહિતના સહયોગથી ઉભી કરવામાં આવેલી ટેન્કની માહિતી આપી સાંદિપનીના સૌ સાધનો અને વર્ચ્યુઅલ ઉપસ્થિતિ બદલ મુખ્યમંત્રીનો આભર માન્યો હતો.

ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ કહ્યું કે, કોરોનાની પ્રથમ અને બીજા લહેરથી આપણે ઘણુ બધુ શીખ્યા છીએ. ઓકસીજનનું મહતવ સમજાયું છે. કલેકટર અશોક શર્માએ શાબ્દિક સ્વાગત કરતા જણાવ્યું કે, વૈશ્વિક મહામારીની જો ત્રીજી લહેર આવે તો તેની સામે લડવા જિલ્લા વહીવટી તંત્ર સુસજ્જ છે. આ પ્રસંગે સાંસદ રમેશભાઇ ધડુક તથા રામભાઇ મોકરીયા વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા વિકાસઅ ધિકારી વી.કે. અડવાણી, અધિક કલેકટર એમ.કે. જોશી નગરપાલિકાના પ્રમુખ સરજુભાઇ કારીયા, પૂર્વ સાંસદ ભરતભાઇ ઓડેદરા, પ્રાંત અધિકારી કે.વી. બાટી, સિવિલ સર્જન ડો. ઠાકરો, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સહિત અગ્રણીઓ અને તબિબો તેમજ સાંદિપની સંસ્થાના દાતાઓ તેમજ સાધકો ઉપસ્થિત રહ્યા હતા. 

(12:57 pm IST)