Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

તૌકતે વાવાઝોડાથી થયેલ નુકશાનીની સહાય ચૂકવણીમાં અન્યાય : રી-સર્વે કરાવવા માંગણી

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી તથા ધારાસભ્ય અંબરીસ ડેરની આગેવાનીમાં રાજુલા,/જાફરાબાદ/ખાંભા તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારોએ અમરેલી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું

અમરેલી : તૌકતે વાવાઝોડાએ ગુજરાતમાં અનેક સ્થળોએ ભારે તબાહી સર્જી હતી. આ તબાહીમાંથી ખેડૂતો હજુ બહાર આવ્યા નથી. આ તબાહીના કારણે થયેલા નુકસાન બદલ સરકાર તરફથી સહાય ચુકવવામાં આવી હતી. પરંતુ સહાય ચુકવણીમાં અન્યાય થયો હોવાથી રિસર્વે કરાવવા માટે આજે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી તથા ધારાસભ્ય અંબરીસ ડેરની આગેવાનીમાં રાજુલા,/જાફરાબાદ/ખાંભા તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારોએ અમરેલી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

 

રાજુલા/જાફરાબાદ/ખાંભા તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી અમરેલી જિલ્લા કલેકટરને આજે સુપ્રદ કરાયેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, આજથી બે મહિના પહેલાં અમરેલી જિલ્લામાં અને ખાસ કરીને દરિયાઇ પટ્ટી પર ત્રાટકેલા તૌકતે વાવાઝોડાએ તબાડી સર્જી હતી. તે ખૂબ જ ભયાવહ હતી. ત્યારબાદ સરકાર દ્વારા વિવિધ પ્રકારની સહાય લોકોને મદદરૂપ થવા માટે આપવામાં આવી હતી. તેમાં ખૂબ જ મોટી વિસંગતતાઓ છે.
વધુમાં આવેદનપત્રમાં એમ પણ જણાવ્યું છે કે, રાજુલા/જાફરાબાદ/ખાંભા તાલુકાઓમાં લોકો દ્વારા અગાઉ આવેદનપત્ર આપીને અમારો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. તેમ છતાં હજુ સુધી કોઇ નિરાકરણ આવ્યું નથી. તેથી આ પ્રશ્ન સરકાર સુધી પહોંચાડવા માટે કલેકટરને વિનંતી કરવામાં આવી છે.
વધુમાં જણાવ્યું છે કે, અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓમાં જે લોકોને અન્યાય થયો છે તેને સરકાર તરફથી ન્યાય મળે તે માટે તૌકતે વાવાઝોડાં સહાય સંદર્ભે રિ-સર્વેના હુક્મો કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરી છે

(11:47 pm IST)