Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

દંપતિના ઝઘડાનું સમાધાન કરાવી ૧૫ વર્ષનું લગ્ન જીવન તૂટતા બચાવતી મોરબીની અભયમ ટીમ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨૬ :ᅠમોરબીમાં એક પતિ-પત્‍ની વચ્‍ચેના ઝઘડા અને ઘરેલું હિંસાના કેસમાં અભયમની સૂઝબૂઝથી આ પતિ-પત્‍ની એક થઈ ગયા હતા.પતિની મારકુટથી પત્‍ની છૂટાછેડા લેવા સુધી પહોંચી ગયા બાદ બન્નેનો ઘરસંસાર ફરી મહેકાવ્‍યો હતા. આ રીતે અભયમની ટીમે પતિ-પત્‍ની વચ્‍ચેના ઝઘડાનું સમાધાન કરાવી ૧૫ વર્ષનું લગ્ન જીવન તૂટતાં બચાવ્‍યું હતું.

ગત તા. ૧૯ સપ્તબરના રોજ પીડિતા દ્વારા ૧૮૧ પર કોલ આવ્‍યો કે, મારાં પતિ સાથે ઝગડો થતા તેને મારા પર હાથ ઉપાડ્‍યો, આથી હું મારાં પિયર આવી ગઈ છું. છેલ્લા એક અઠવાડિયાથી હું મારાં પિયર છું. મારે શુ કરવું એ સમજાતું નથી; માટે મારે ૧૮૧ની મદદની જરૂર છે. આથી મોરબી સ્‍થિત કાઉન્‍સેલર રસીલા બેન તથા કોન્‍સ્‍ટેબલ રંજન બેન અને પાયલોટ દિનેશભાઇ પીડિતા બેનને લઈને તેના સાસરિયામાં પહોચ્‍યા હતા. ત્‍યાં તેના પતિને સાસુ સસરા સાથે વાતચીત કરતા પીડિતા બેને જણાવ્‍યું કે મારાં લગ્નને પંદર વર્ષ થયા છે. અને મારે ત્રણ બાળકો છે. પરંતુ મારે મારા પતિ સાથે ઘરના કામકાજ બાબતે વારંવાર ઝગડો થયા જ કરે છે. આથી હું મારાં પતિ સાથે છુટાછેડા લેવા માંગુ છું.

ત્‍યારબાદ ૧૮૧ ટીમે પીડિતા બેનના પતિ સાથે વાતચીત કરી હતી. વાતચીત કરતા તેણે જણાવ્‍યુ કે, હું મારી પત્‍ની સાથે રહેવા માંગુ છું. પરંતુ તે મારું કેહવું માનતી નથી. એના લીધે અમારી વચ્‍ચે ઝગડાઓ થયા કરે છે. અને હું ક્‍યારેક હાથ પણ ઉપાડું છું. આથી પીડિતાના પતિને સમજાવ્‍યા કે પત્‍ની પર હાથ ઉપડવો એ ધરેલું હિંસા કહેવાય. અને કાનૂની અપરાધ છે. આ ઉપરાંત તેને સમજાવ્‍યા કે કોઈપણ વાતનું સમાધાન વાતચીતથી થઈ શકે છે. આથી પીડિતા બહેન અને તેના પતિનું કાઉન્‍સિલિંગ કરી તેમના બાળકોના ભવિષ્‍ય વિશે વિચાર કરવા સમજણ અપાઈ અને અંતમાં તેઓ બન્ને વચ્‍ચે સમાધાનકારી નિરાકરણ લાવવામાં સફળતા મળી હતી અને પીડિતા બહેન તેના સાસરિયામાં રહેવા તૈયાર થયા હતા.

(1:25 pm IST)