Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

મોરબી જિલ્લામાં પશુઓમાં ખરવા મોવાના રોગચાળા વચ્ચે તબીબોની અછત.

પૂરતા પ્રમાણમાં ડોક્ટરોની નિમણુંક કરવા તેમજ દવાનો સ્ટોક ઉપલબ્ધ કરાવવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી જિલ્લામાં પશુધનમાં ખરવા મોવાનો રોગચાળો પ્રસર્યો છે તેવા સમયે જ તબીબી સુવિધા નહિવત તેમજ અનિયમિત હોય અનેક માલધારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે.આ સમસ્યા હલ કરવા મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિ માલધારી સેલ દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરાઇ છે.
રજૂઆતમાં જણાવ્યું છે કે જિલ્લામાં પૂરતા પ્રમાણમાં પશુ ચિકિત્સા કેન્દ્રો નથી અને જે છે ત્યાં પૂરતા પ્રમાણમાં તબીબો નથી તેમજ ત્રણથી ચાર કેન્દ્ર વચ્ચે માત્ર એક જ તબીબ હોય જે સમયસર સારવાર આપી શકતા નથી.જેના કારણે હાલમાં ખરવા મોવાના રોગને કારણે પશુઓનું અકાળે મૃત્યુ થાય છે. જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં પશુધન છે ત્યારે આ બાબતની ગંભીરતાથી નોંધ લઈ તમામ કેન્દ્રોમાં પૂરતી તબીબી સવલતો પૂરી પાડવા માંગ ઉઠાવી છે.
વધુમાં જણાવ્યું છે કે મોરબી તાલુકાના જેતપુર(મચ્છુ) ગામે પશુ દવાખાનું છે પણ ડોક્ટર સમયસર આવતા નથી.હાલ જિલ્લામાં પશુઓમાં ખરવા નામનો રોગ ભયંકર રીતે પ્રસરી રહ્યો છે.જેના કારણે પશુઓ ચાલી શકતા નથી.આ ઉપરાંત મોવા નામનો રોગ થઈ રહ્યો છે જેના કારણે પશુઓ કોઇપણ જાતનો ખોરાક ખાઈ શકતા નથી.આથી તમામ કેન્દ્રોમાં પૂરતા તબીબો અને દવાનો સ્ટોક ઉપલબ્ધ કરાવવા માંગ ઉઠાવી છે

(12:08 pm IST)