Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

ભૂપેન્‍દ્રભાઇએ ગુજરાતની વિકાસગાથાને નવા આયામો સુધી પહોંચાડી : પરસોત્તમભાઇ સોલંકી

મત્‍સ્‍ય અને પશુપાલન રાજ્‍યમંત્રીના અધ્‍યક્ષસ્‍થાને લાઠી ખાતે અમરેલી જિલ્લા કક્ષાનો ૭૪મો ગણતંત્ર દિન સંપન્‍ન : જિલ્લા કક્ષાએ ઉત્‍કૃષ્‍ટ કામગીરી કરનારા અધિકારી - કર્મચારીઓ અને જિલ્લાનું નામ રોશન કરનારા ખેલાડી અને વિદ્યાર્થીઓનું સન્‍માન : અમરેલી જિલ્લા કલેકટરને લાઠી તાલુકાના વિકાસ માટે રૂા. ૨૫ લાખનો ચેક અર્પણ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૨૭ : અમરેલી જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી મત્‍સ્‍ય અને પશુપાલન રાજયમંત્રીશ્રી પરષોત્તમભાઈ સોલંકીના અધ્‍યક્ષસ્‍થાને રાજકવિ સૂરસિંહ તખ્‍તસિંહ ગોહિલની ધીંગી ધરા લાઠી સ્‍થિત માર્કેટ યાર્ડ ખાતે થઈ હતી. રાજયમંત્રીશ્રીના હસ્‍તે ધ્‍વજવંદન કરી તિરંગાને સલામી આપી હતી. ધ્‍વજવંદન બાદ માર્ચ પાસ્‍ટ અને પોલીસ પરેડ યોજવામાં આવી હતી. લાઠી ખાતેના આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી, આત્‍મા પ્રોજેક્‍ટ, નલ સે જલ, મહિલા અને બાળ કલ્‍યાણ, આઇ સી ડી એસ, શિક્ષણ, સામાજિક વનીકરણ, આરોગ્‍ય, ૧૦૮ સેવા, ખિલખિલાટ, ફરતું પશુ દવાખાનું, ૧૮૧ મહિલા હેલ્‍પલાઇન સહિતની કામગીરીની ઝાંખી કરાવતા ટેબ્‍લોનું નિદર્શન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમમાં સ્‍વાતંત્ર્ય સેનાનીશ્રી ઉમંગરાય છાટબારનું સુતરની આંટી દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્‍કૃત્તિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં સંબોધન કરતા રાજયમંત્રીએ જણાવ્‍યુ કે, ભારતનું નામ વિશ્વભરમાં ગુંજતું કરનાર ગુજરાતના પનોતાપુત્ર વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલે ગુજરાતની વિકાસગાથાને નવા આયામો સુધી પહોંચાડી છે. મુખ્‍યમંત્રીશ્રીના નેતૃત્‍વમાં સંવેદનશીલતા, પારદર્શિતા, પ્રગતિશીલ અને નિર્ણાયક મહત્‍વપૂર્ણ આધારસ્‍તંભ પર ગુજરાતે સાતત્‍યપૂર્ણ અને સર્વને ધ્‍યાને રાખી વિકાસ સાધ્‍યો છે. અમરેલી જિલ્લામાં નાની-મોટી ૧,૭૫૧ જેટલી માછીમારી બોટો નોંધાઈ છે. ‘ડીઝલ વેટ રાહત યોજના' તથા ‘કેરોસીન વેટ' રાહત યોજના અંતર્ગત માછીમારોને અંદાજે રૂ.૮૧૨.૫૭ લાખ વેટ રાહત રાજય સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે. જિલ્લામાં થયેલ અન્‍ય ઉત્‍કૃષ્ટ અને પ્રોત્‍સાહક કામગીરીની વિગતો મુજબ તાઉતે વાવાઝોડા દરમિયાન મત્‍સ્‍ય બંદરો પર મોટા પ્રમાણમાં નુકશાન થયું હતુ. જે અનુસંધાને જાફરાબાદ ખાતે જેટીના સમારકામ તથા નવી જેટીના બાંધકામ માટે સરકાર દ્વારા રૂ.૧૧.૪૦ કરોડના ખર્ચે હાલ કામ શરૂ કરવામાં આવ્‍યું છે. જેનું આશરે ૨૦ ટકા જેટલું કામ પૂર્ણ કરવામાં આવ્‍યું છે. પશુપાલન કચેરી દ્વારા રાજય સરકારની વિવિધ કલ્‍યાણકારી યોજનાઓનો લાભ પશુઓને પણ મળી રહે અને તેમનું જતન થાય તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં વર્ષ દરમિયાન ૧૫૬ પશુમેળા યોજી, ૧,૧૧,૧૯૪ પશુઓને સારવાર આપવામાં આવી છે. આ પૈકી ૫,૬૭૦ પશુઓનું રસીકરણ કરવામાં આવ્‍યું છે.

 આ કાર્યક્રમમાં રાજયમંત્રી સાથે  સાંસદ નારણભાઈ કાછડીયા, લાઠી-બાબરાના ધારાસભ્‍ય જનકભાઈ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓના હસ્‍તે જિલ્લામાં જુદી-જુદી કચેરીઓમાં ફરજ બજાવતા ઉત્‍કૃષ્ટ કામગીરી કરનારા અધિકારીશ્રીઓ અને કર્મચારીગણનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમમાં શ્રેષ્ઠ પરેડ, ટેબ્‍લો, સાંસ્‍કૃતિક કાર્યક્રમની પ્રસ્‍તુતિ કરનાર જૂથને પ્રમાણપત્ર અને એવોર્ડ આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં, રાજય સરકાર દ્વારા રાજયમંત્રીશ્રીના હસ્‍તે અમરેલી જિલ્લા કલેક્‍ટરશ્રીને લાઠી તાલુકાના વિકાસ માટે  રુ.૨૫ લાખનો ચેક  અર્પણ કરવામાં આવ્‍યો હતો. રાજયમંત્રી, સાંસદ નારણભાઈ કાછડિયા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન વિપુલભાઈ દૂધાત,  લાઠી-બાબરા વિસ્‍તારના ધારાસભ્‍ય જનકભાઈ તળાવિયા, કલેકટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ, જિલ્લા પોલીસ અધિક્ષક હીમકર સિંઘ, પ્રાંત અધિકારીશ્રી ટાંક સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું. પ્રજાસત્તાક પર્વ પ્રસંગે મહાનુભાવો અને નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રકાશ જોષી દ્વારા કરવામાં આવ્‍યું હતું.

(12:32 pm IST)