Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

મોરબી જીલ્લામાં મતદાન ગણતરી સ્થળો પર નિયંત્રણો લાદતુ જાહેરનામુ પ્રસિધ્ધ

મોરબી,તા. ૨૭: મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજય સંસ્થાઓની ચૂંટણી-૨૦૨૧ની મતગણતરી તા.૦૨ માર્ચ ના રોજ થનાર છે. મોરબી નગરપાલીકા વોર્ડ નં. ૧ થી ૭ની ધી.વી.સી. ટેકનીકલ હાઈસ્કુલ, મોરબી, નગરપાલીકા વોર્ડ નં.૮ થી ૧૩ની પોલીટેકનીકલ 'એ' બિલ્ડીગ, ઘુંટુ, માળીયા(મી.) નગરપાલીકા વોર્ડ નં.૧ થી ૬ની આઈ.ટી.આઈ,માળીયા(મી.), વાંકાનેર નગરપાલીકા વોર્ડ નં.૧ થી ૭ ની શ્રી અમરસિંહજી હાઈસ્કુલ, વાંકાનેર, ખાતે મોરબી જિલ્લા પંચાયત મતદાર મંડળ (મોરબી તાલુકા) તથા મોરબી તાલુકા પંચાયત મતદાર મંડળ પોલીટેકનીકલ કોલેજ, ઘુંટુ રોડ મોરબી, ખાતે મોરબી જિલ્લા પંચાયત મતદાર મંડળ (માળીયા(મી.) તાલુકા) તથા (માળીયા (મી.) તાલુકા પંચાયત મતદાર મંડળ મોડલ સ્કુલ મોટીબરાર, ખાતે મોરબી જિલ્લા પંચાયત મતદાર મંડળ (હળવદ તાલુકા) તથા હળવદ તાલુકા પંચાયત મતદાર મંડળ મોડલ સ્કુલ હળવદ, ખાતે મોરબી જિલ્લા પંચાયત મતદાર મંડળ (ટંકારા તાલુકા) તથા ટંકારા તાલુકા પંચાયત મતદાર મંડળ રૂમ નં.૭, આઈ.ટી.આઈ. રાજકોટ મોરબી હાઈવે ટંકારા, ખાતે મોરબી જિલ્લા પંચાયત મતદાર મંડળ (વાંકાનેર તાલુકા) તથા વાંકાનેર તાલુકા પંચાયત મતદાર મંડળ શ્રી અમરસિંહજી હાઈસ્કુલ વાંકાનેર ખાતે થનાર છે.

આ મતગણતરીના દિવસે મતદાન બૂથની આસપાસ નિવારક પગલાં લેવા માટે મોરબીના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી કેતન જોષીએ જાહેરનામુ બહાર પાડી હુકમો જારી કર્યા છે. આ જાહેરનામા અનુસાર કોઈપણ વ્યકિત સક્ષમ અધિકારી તરફથી ઈસ્યુ કરવામાં આવેલ ફોટોગ્રાફ સહિતના અધિકૃત પ્રવેશ પાસ વિના મતગણતરી કેન્દ્રમાં દાખલ થશે નહી તેમજ આવા પ્રવેશ પાસ સરળતાથી દેખાઈ આવે તે રીતે પ્રદર્શિત કરશે, મતગણતરી કેન્દ્રની આસપાસના ૨૦૦ મીટર વિસ્તારમાં સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતાં વધુ વ્યકિતઓ એકત્રીત થઈ શકશે નહી અથવા કોઈ સભા ભરી શકશે નહી કે કોઈ સરઘસ કાઢી શકશે નહી, કોઈપણ વ્યકિત કે જેમાં ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ તેમજ મતગણતરી એજન્ટ સહિતના કોઈપણ વ્યકિત મતગણતરી હોલમાં કે મતગણતરી કેન્દ્રની કમ્પાઉન્ડ વોલ સહિતના પ્રીમાઈસીસમાં મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશાવ્યવહારના અન્ય કોઈ ઉપકરણો લઈ જશે નહી કે તેનો ઉપયોગ કરી શકશે નહી,  ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ કે તેમના મતગણતરી એજન્ટ કે જેમને જે તે મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશ માટે પ્રવેશ પાસ ઈસ્યુ કરવામાં આવેલ હોય તે સિવાયના અન્ય મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશી શકશે નહી, મતગણતરી સ્થળમાં પ્રવેશ માટેના પાસ ઈસ્યુ કરવા માટે સબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવે છે. મતગણતરી કેન્દ્ર પર સક્ષમ અધિકારીશ્રીએ નકકી કરેલ પાર્કીગ સ્થળે જ વાહન પાર્કીગ કરવાનું રહેશે.

મતગણતરી તેમજ મતગણતરીના સંચાલન અંગેની ફરજ જે અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓને સોંપવામાં આવેલ છે તે તમામ અધિકારીશ્રીઓ / કર્મચારીશ્રીઓ તથા ફરજ પરના પોલીસ / એસઆરપી / હોમગાર્ડ ના અધિકારી તથા જવાનો આ જાહેરનામા માંથી મુકિત આપવામાં આવે છે. કોઇ પણ રાજકીય પક્ષ/ઉમેદવાર અથવા કોઇ વ્યકિત દ્વારા આ જાહેરનામાનો ભંગ કરાશે તો ભારતીય ફોજદારીની કલમ-૧૮૮ મુજબ શિક્ષાપાત્ર કાર્યવાહીને પાત્ર ઠરશે.

(10:20 am IST)