Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

મોરબીથી ભાજપના ૧૦ હજાર જેટલા કાર્યકરો પીએમના આટકોટ કાર્યક્રમમાં હાજરી આપશે

જસદણના આટકોટ ખાતે પીએમ મોદીના કાર્યક્રમમાં જનમેદની એકત્ર કરવા ભાજપનું માઈક્રો પ્‍લાનિંગ

(પ્રવીણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૨૭ : જસદણના આટકોટમાં ૨૮મી વડા-ધાન મોદીના હસ્‍તે હોસ્‍પિટલનું લોકાર્પણ થનાર છે. આ કાર્યક્રમમાં ભાજપને ૩ લાખ લોકો ભેગા કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્‍યો છે.ત્‍યારે મોરબીથી પણ મોદીના કાર્યક્રમમાં જવા માટે ભાજપ દ્વારા માઈક્રો પ્‍લાનિંગ કરવામાં આવ્‍યું છે.જેમાં મોરબી જિલ્લામાંથી ૨૩૦ જેટલી બસોમાં ૧૦ હજાર જેટલા કાર્યકરોને આટકોટ ખાતે પીએમના કાર્યક્રમમાં પહોંચાડવામાં આવશે. આ ઉપરાંત મોરબીથી ૩૦૦ જેટલી કારનો કાફલો પણ રવાના થશે.

 મોરબીથી આટકોટ પીએમના કાર્યક્રમમાં લોકોને હાજર રાખવા માટે મોરબી જિલ્લા ભાજપ દ્વારા વ્‍યવસ્‍થિત આયોજન સાથે બસ તેમજ રૂટના ઇન્‍ચાર્જની નિમણૂક કરી દેવામાં આવી છે. જેમાં મોરબી, વાંકાનેર, હળવદ, માળીયા અને ટંકારા શહેર તેમજ તમામ ગ્રામ્‍ય વિસ્‍તારોમાંથી કાર્યકરો તેમજ લોકોને ૨૮મીએ મોદીના કાર્યક્રમમાં હાજર રાખવાની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે અને પીએમ મોદીના કાર્યક્રમમાં મોરબીથી ૧૦ હજાર જેટલા લોકો હાજર રહેશે તેમ જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મહામંત્રી રણછોડભાઈ દલવાડી, ઉપપ્રમુખ નિર્મલભાઇ જારીયા, મોરબી તાલુકા  પ્રમુખ અરવિંદ વાસદડીયાએ જણાવ્‍યું હતું. 

(11:40 am IST)