Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

ગોંડલ માર્કેટીંગ યાર્ડે રૂા. ૨૩૬૧ લાખની જંગી આવક કરી રાજ્યમાં પ્રથમ નંબર મેળવ્યો

દાયકાઓથી પ્રથમ નંબરે રહેતા ઊંઝા માર્કેટીંગ યાર્ડને બીજા નંબરે ધકેલ્યું : રાજકોટ ત્રીજા નંબરે અને સુરત ચોથા નંબરે રહ્યું

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૨૭ : સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડએ નાણાકીય વર્ષ ૨૧- ૨૨ માં રૂ. ૨૩૬૧ લાખની જંગી આવક કરી રાજયનાં માર્કેટિંગ યાર્ડમાં પ્રથમ નંબર મેળવી ડંકો વગાડ્યો છે, આગામી વર્ષોમાં ગોંડલ માર્કેટીંગ યાર્ડની આવકને દેશના પ્રથમ નંબરે લઈ જવા ચેરમેન દ્વારા સપનુ સેવવામાં આવ્યું છે.
ગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા એ જણાવ્યું હતું કે તાજેતરમાં ગુજરાત નિયંત્રણ બજાર સંઘ અમદાવાદ દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ નાં નાણાકીય વર્ષનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો, આ અહેવાલ પ્રમાણે ગોંડલ માર્કેટીંગ યાર્ડની આવક રૂ. ૨૩૬૧ લાખ થવા સાથે સમગ્ર રાજયની માર્કેટીંગ યાર્ડની આવકમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડનો પ્રથમ નંબર આવવા પામ્યો છે, સાથોસાથ ગોંડલ માર્કેટિંગ યાર્ડ રૂપિયા ૧૫૩૧ લાખ બચત કરી છે અને યાર્ડનું ભંડોળ રૂ. ૭૯૩૨ લાખ થયું છે, જયારે દાયકાઓથી પ્રથમ રહેતું ઊંઝા માર્કેટિંગ યાર્ડની આવક ૨૩૨૯ લાખ થતા તે બીજા નંબરના સ્થાને ધકેલાયું છે, જયારે રાજકોટ માર્કેટિંગ યાર્ડ ૨૧૯૮ લાખ સાથે ત્રીજા નંબરે અને સુરત ૧૭૯૯ લાખ સાથે ચોથા નંબરે પહોંચ્યું છે.
સૌરાષ્ટ્ર બાદ હવે ગુજરાતના અગ્રીમ નંબરે પહોંચેલ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ની આવક અંગે ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા એ જણાવ્યું હતું કે માર્કેટિંગ યાર્ડમાં ચણાની આવક અને વેચાણનો મહત્વનો ફાળો રહ્યો છે ચણાની સિઝનમાં રોજ આશરે ૩૫૦૦૦ બોરીનું વેચાણ થઈ રહ્યું હતું જેની સામે લસણ અને ડુંગળીના ભાવ નીચા રહ્યા હતા જો ડુંગળી અને લસણના ભાવ થોડા વધારે હોત તો હજી વધુ પાંચ કરોડની આવક વધી થઇ હોત અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજય સરકાર દ્વારા લસણ અને ડુંગળીમાં સહાય કરવામાં આવી હતી તેથી ખેડૂતોને રાહત મળી હતી.
ઙ્ગમાર્કેટિંગ યાર્ડ માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં જ પૂરતું જ અગ્રીમ બની ન રહે અને આગામી વર્ષોમાં દેશનું અગ્રિમ બની રહે તે માટે વર્તમાન બોડી દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી રહી છે આગામી સમયમાં વધુ સારા ડોમ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે અને દેશ-વિદેશમાંથી વેપારીઓ ખરીદી કરવા માટે આવે તે અંગેના આયોજનો કરવામાં આવનાર છે તેવું અંતમાં જણાવ્યું હતું.
માર્કેટીંગ યાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો મગફળી, ધાણા, મરચા સહિતની ૫૫ થી પણ વધુ જણસીઓ લઈને આવી રહ્યા છે અને તેઓને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે આગામી દિવસોમાં માલની આવક થાય અને ત્વરીત નિકાલ થાય તેવા આયોજનો હાથ ધરાયા છે તેમજ નેશનલ હાઈવે પર વાહનોની કતારો લાગતી બંધ થાય તે અંગે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

(10:55 am IST)