Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

આને કહેવાય આફતને અવસરમાં પલટાવી

શ્રમિકોએ પરસેવો પાડીને નિર્માણ કરેલ ઢાંકનું ભીમાસર તળાવ પાણીથી છલકાયુ

લોકડાઉન દરમિયાન મનરેગા હેઠળ રાજકોટ જિલ્લાના ૨૦ હજારથી વધુ ગ્રામિણોને મળી ૨.૯૫ લાખથી વધુ માનવદિન રોજગારી

રાજકોટ તા. ૨૭ : રાજય સરકાર દ્વારા ગુજરાતમાં આરંભાયેલા સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ૧૦ હજારથી વધુ લોકોની વસ્તી ધરાવતા ઢાંક ગામ પાસે આવેલ ભીમસર તળાવને પણ ઉંડુ કરવાનું અભિયાન મનરેગા હેઠળ હાથ ધરાયું હતું. જેના કારણે આસપાસના વિસ્તારના ૫૨૦ જેટલા ગ્રામિણોને ૯૭૨૦ માનવદિન રોજગારી મળી હતી. જેમાં રૂપિયા ૯ લાખથી વધુ રકમના ખર્ચે ૨૭૭૩ ઘનમીટર ઉંડા ઉતારેલ આ તળાવમાં ઓણસાલ મેઘની મહેર થતાં જ શ્રમિકોનો પરસેવો વરસાદી પાણી રૂપી પારસમણી બનીને ભીમસર તળાવને છલકાવી દીધુ છે.

મનરેગા અંતર્ગત આ તળાવને શ્રમદાન થકી ઉંડુ ઉતારવાના કાર્યમાં જોડાયેલા શ્રમયોગી કિશોરભાઇ ગજેરાએ વરસાદી નિરથી ભરાયેલા આ તળાવને જોઇ હરખાતા હરખાતા જણાવ્યું હતુ કે મનરેગાનું આ કામ મારા જેવા શ્રમિકો માટે સ્વાર્થ સાથે પરમાર્થનું કામ સાબિત થયું છે. મનરેગા અંતર્ગત ગામનું તળાવ ઉંડુ કરવાના આ કામમાં અમને રોજગારી તો મળી પરંતુ રાજય સરકારની શ્રમિકોને આર્થિક મદદરૂપ થવાની સંવેદનાને ઇશ્વરે પણ પ્રતિસાદ આપી અને ભરપૂર વરસાદ થતાં અમે ઉંડું ઉતારેલું તળાવ નવાનીરથી છલોછલ ભરાઇ ગયું છે. અમારા પરસેવાના પુરસ્કાર રૂપે ગામની પીવાના પાણીની તથા ખેતી માટે સીંચાઈના પાણીની સંપૂર્ણ જરૂરીયાત પુરી થઇ જશે.

ગામના જ ૧૦ વીઘા ખેતીની જમીનના માલીક એવા દિપકભાઇ નરશીભાઇ ગજેરાના શબ્દોમાં વર્ણવીએ તો આ સાલ તળાવમાં ભરાયેલા પાણીને કારણે જમીનના તળ પાણીથી ભરાયેલા રહેતા અહીંના ખેડૂતો ત્રણ સીઝનમાં પાક લઈ શકશે. અને ખેડૂતોને પાણીની અછતનો સામનો કરવો નહીં પડે. રાજકોટ જિલ્લામાં આવા કુલ ૫૪ તળાવોને મનરેગા હેઠળ લોકડાઉનના સમયમાં ઉંડા કરવામાં આવ્યા હતા. જે તમામમાં નવા નીરની આવક થતાં ભરાઇ ગયેલ છે.      

     રાજકોટ જિલ્લામાં પણ ગ્રામીણ શ્રમિકોને રોજગારી મળી રહે તે હેતુસર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે. કે.પટેલના માર્ગદર્શન હેઠળ ૮૦ થી વધુ  ગામોમાં ૧૧૯ જેટલા વિકાસ કામો દ્વારા ૨૦ હજારથી વધુ લોકોને રૂપિયા પ કરોડ ૪૩ લાખના ખર્ચે ર લાખ ૯૫ હજારથી વધુ માનવદિન રોજગારી અપાઇ હતી. આ કામોમાં સામાજીક વનીકરણ, તળાવ ઉંડું કરવા સહિતના કામોની સાથે માળખાકીય વિકાસના કામોનો સમાવેશ કરાયો હતો. જે પૈકી તળાવો ઉંડા કરવાના ૫૪ કામો થયા હતા.

ગ્રામિણ શ્રમિકોને ઘર આંગણે રોજગારીની સાથે જળસંચય અને ગ્રામિણ અર્થતંત્રને ધબકતું રાખવાના ત્રિવિધ હેતુને સર કરતી આ યોજના દ્વારા ગુજરાતના અનેક ગ્રામિણ શ્રમિકોને આર્થિક મદદની સાથે વિકાસના કામોને આગવી દિશા આપવાનું કાર્ય થયું છે. આજ છે, આફતને અવસરમાં પલટાવવાની ગુજરાત સરકારની આગવી કાર્ય શૈલી.

(2:57 pm IST)