Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

ગઢડા (સ્‍વામીના) મોટીબા મંદિરમાં ધર્મમાં રાજકારણ ઘૂસ્‍યુઃ સાંખ્‍ય યોગી બહેનો અને પુજારી વચ્‍ચે સતત દોઢ મહિનાથી માથાકૂટ થઇ રહી છેઃ મંદિર ખોલવાની માંગ સાથે બહેનોએ ઉપવાસ આંદોલન અને આત્‍મવિલોપનની ચિમકી આપતા ખળભળાટ

બોટાદ: ગઢડા ગોપીનાથજી મંદિરના તાબા નીચેના લક્ષ્મીવાડીમાં આવેલ મોટીબાના મંદિરમાં પૂજા અર્ચના કરવાના મામલે સાંખ્યોગી બહેનો વચ્ચે છેલ્લા દોઢ મહિનાથી સતત કંઈક ને કંઈક વિવાદ થઈ રહ્યો છે. જે મામલે આજે સમગ્ર જિલ્લાનો પોલીસ કાફલો લક્ષ્મીવાડી ખાતે ખડકી દેવામાં આવ્યો હતો. જોકે સમગ્ર મામલે આચાર્ય પક્ષની સાંખ્યોગીની બહેનો દ્વારા જ્યાં સુધી મંદિર નહિ, ખુલે ત્યાં સુધી ઉપવાસ પર બેસવાની અને આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે.

બોટાદ જિલ્લાના ગઢડા (સ્વામીના) માં બે સ્વામિનારાયણ ભગવાનના મંદિરો આવેલા છે. ભગવાન શ્રી સ્વામીનારાયણ પોતે 29 વર્ષ ગઢડામા રહી ગઢડાને પોતાની કર્મ ભુમિ બનાવી હતી અને મંદિરની સ્થાપના કરી. ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતે આ મંદિરમાં ગોપીનાથજી મહારાજના મૂર્તિની સ્થાપના કરી હતી. ત્યારથી સમગ્ર દેશ અને દુનિયામાં ગઢડાનુ ધાર્મિક સ્થાન તરીકે આગવું નામ ધરાવે છે. અગાઉ ગઢડા ગોપીનાથજી મંદિરના વહીવટમાં આચાર્ય પક્ષ હતો, પરંતુ દોઢેક વર્ષ પહેલાં મંદિરની ચૂંટણીમાં દેવપક્ષ સત્તા પર આવ્યો છે. 

છેલ્લા ઘણા દિવસથી લક્ષ્મી વાડીમાં આવેલ મોટી બા મંદિરને લઈ બંન્ને પક્ષની સાંખ્યયોગી બહેનો વચ્ચે પૂજારીને લઈ ચાલી રહ્યો છે. વિવાદ જેમાં આજે વધુ એક વિવાદ ઉભો થયો છે. જેમાં મંદિરના ચેરમેન હરીજીવન સ્વામી દ્વારા પોલીસ કાફલો બોલાવી અને ગઢડા ગોપીનાથજી મંદિર તાબાના લક્ષ્મી વાડી મંદિરને અચાનક મસમોટા પોલીસ કાફલા સાથે ઘેરી લઈ અને મુખ્ય પ્રવેશ દ્વાર બંધ કરી દેવામાં આવ્યો હતો. અંદર હાજર સાંખ્યયોગી બહેનો સાથે પોલીસ દ્વારા સતત 2 કલાક ચર્ચા વિચારણા ચાલી હતી. ત્યારબાદ સાંખ્યયોગી બહેનો સહિત પોલીસ કાફલો બહાર આવ્યો હતો. જેમાં પોલીસ દ્વારા મોટીબા મંદિરને હાલ તાળા મારી દીધા હતા. આ મામલે ડીવાયએસપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું કે, પાંચ દિવસ સુધી તાળા મારી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે વર્ષોથી ચાલી આવતી મોટી બા મંદિરની પરંપરા તૂટતાં આચાર્ય પક્ષની સાંખ્યયોગી બહેનો દ્વારા જો 5 દિવસ મોટીબાને થાળ નહિ ધરાય, તો અમે પણ 5 દિવસ ઉપવાસ કરીશું. તેમજ આ મામલે જો મંદિર વહેલી તકે નહિ ખોલવામાં આવે તો આત્મવિલોપન સુધીની ચીમકી ઉચ્ચારી છે. જ્યારે મંદિરના ટ્રસ્ટીને પૂછતાં મંદિર 5 દિવસ સુધી બંધ રાખી શકાય નહિ. પૂજા અર્ચના દીવાબત્તી થાળ બધું નિત્યક્રમ મુજબ કરવું જ પડે. જેને લઈ અમે પોલીસ સાથે ચેરમેન સ્વામીને આ બાબતે મળવા જઈ રહ્યા હોવાનું જણાવ્યું. જોકે આ વિવાદ વચ્ચે એક મહિલા નવજાત શિશુની મોટા બા મંદિરની માનતા હોય અને દર્શને લઈને આવ્યા હતા, ત્યારે પોલીસ દ્વારા દર્શન નહિ કરવા દેતા શ્રદ્ધાળુઓમાં નિરાશા ફેલાઈ છે.

(5:32 pm IST)