Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

જસદણના વાહન લે-વેચના ધંધાર્થી ચંદુભાઇ બાવળીયાનો આપઘાત

ભાગીદાર છુટા થતા હું એકલો કેમ ધંધો કરીશ ? તેવા ભારણે ફાંસો ખાઇ લીધાનું મૃતકના ભાઇનું નિવેદન : પરિવારમાં અરેરાટી

(નરેશ ચોહલીયા) જસદણ તા. ૨૭ : જસદણમાં વાહન લે-વેચના ધંધાર્થીએ ફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર જાગી છે.

જસદણના ગોકુલ ચોક વિસ્તારમાં રહેતા અને રોયલ ઓટો કન્સલ્ટ નામની દુકાન ચલાવતા ચંદુભાઈ કાનાભાઈ બાવળીયા(ઉ.વ.૩૫) નામના યુવાને પોતાની દુકાનમાં દોરડા વડે ગળેફાંસો ખાઈ લેતા પરિવારજનોમાં અરેરાટી પ્રસરી ગઈ હતી.

બનાવની જાણ થતા જસદણ પોલીસ મથકના જમાદાર રાજાભાઈ વકાતર સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકની લાશનો કબજો મેળવી સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ. અર્થે ખસેડી આગળની તજવીજ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મૃતક યુવાન અપરણિત હતો અને તેના મિત્ર સાઝીદ સાથે પોતે વાહન લે-વેચનો ભાગીદારીમાં ધંધો કરતો હતો. પરંતુ થોડા સમય પહેલા બન્ને ભાગીદારો છૂટા પડતા મૃતક યુવાનને વાહન લે-વેચના ધંધાનું ભારણ વધતા અને હવે હું કેમ એકલો આ ધંધો કરીશ તેવું વિચારી આ પગલું ભર્યું હોવાનું મૃતકના ભાઈ ધીરૂભાઈ કાનાભાઈ બાવળીયા દ્વારા પોલીસને જણાવવામાં આવ્યું હતું.

જોકે મૃતક યુવાન પાસેથી જસદણ પોલીસને કોઈ સ્યુસાઈટ નોટ કે અન્ય કોઈ કાગળો મળેલ નથી અને આ બનાવનું કોઈ સ્પષ્ટ કારણ ધ્યાને આવેલ નથી. પરંતુ મૃતક યુવાનના ભાઈના નિવેદનના આધારે જસદણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. હાલ જસદણ પોલીસે આ બનાવમાં એ.ડી. નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ આપઘાતના બનાવની વધુ તપાસ જસદણ પોલીસ મથકના જમાદાર રાજાભાઈ વકાતર ચલાવી રહ્યા છે.(

(1:09 pm IST)