Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

મોરબીમાં મૃતકને કોરોના રસીના બીજા ડોઝના સર્ટીફીકેટ મામલે મેડીકલ ઓફિસરની બદલી કરાઈ

પાંચ માસ પૂર્વે સ્વર્ગવાસી થયેલ મૃતકને રસીનો બીજો ડોઝ આપ્યાનું સર્ટીફીકેટ મળતા મામલો ગાજ્યો’તો.

મોરબીમાં પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ પ્રસંગે મેગા રસીકરણ કેમ્પ યોજાયો હતો જે દિવસે મેગા રસીકરણ કેમ્પમાં ટાર્ગેટ પૂર્ણ કરવા સરકારી તંત્રએ માનવતા તો ઠીક શરમ પણ નેવે મૂકી દીધી હોય તેમ મૃતકને રસીનો બીજો ડોઝ આપ્યાનું સર્ટીફીકેટ મળતા પરિવારજનોએ રોષ પ્રગટ કર્યો હતો અને મીડિયામાં પણ મામલો ગાજ્યા બાદ મેડીકલ ઓફિસરની બદલી કરાઈ છે
જે બનાવની સમગ્ર હકીકત જાણીએ તો મોરબીના સર્કીટ હાઉસ નજીકની સોસાયટીના રહેવાસી રાજેન્દ્રસિંહ જાડેજા નામના વૃદ્ધ દ્વારા કોરોના મહામારીના પગલે તા. ૧૬ માર્ચના રોજ રસીનો પ્રથમ ડોઝ લેવામાં આવ્યો હતો અને બીજો ડોઝ લેવાનો બાકી હતો દરમિયાન તા. ૨૩ એપ્રિલના રોજ રાજેન્દ્રસિંહ જાડેજાનું અવસાન થયું હતું જોકે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે મેગા વેક્સીનેશન કેમ્પ યોજાયો હતો જેમાં સ્વર્ગવાસી રાજેન્દ્રસિંહ જાડેજાને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હોય તેનું સર્ટીફીકેટ પણ ડાઉનલોડ થયું છે એટલે પાંચ માસ પૂર્વે રાજેન્દ્રસિંહ જાડેજાનું અવસાન થયું હતું છતાં ૧૭ સપ્ટેમ્બરના રોજ પીએમ મોદીના જન્મદિવસ પ્રસંગે સ્વર્ગવાસી રાજેન્દ્રસિંહને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
રસીકરણની ઉત્તમ કામગીરી બતાવવા તંત્ર ભાન ભૂલ્યું હતું અને મૃતકને રસીનો બીજો ડોઝ આપ્યાનું સર્ટીફીકેટ જનરેટ થયું હોય જેથી પરિવારમાં રોષ ભભૂક્યો હતો અને કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી ત્યારે જીલ્લા આરોગ્ય અધિકારીએ તપાસ થશે તેવો ભરોસો આપ્યો હતો અને આ મામલે જવાબદાર મેડિકલ ઓફિસર રિયાઝ ખોરજીયાનો ખુલાસો પૂછવા શોકોઝ નોટિસ ફટકારી હતી. અને સો ઓરડીના જવાબદાર મેડિકલ ઓફિસર રિયાઝ ખોરજીયાની વિસીપરા અર્બન હેલ્થ સેન્ટરમાં બદલી કરવામાં આવી હોવાની માહિતી આરોગ્ય અધિકારી પાસેથી પ્રાપ્ત થઇ છે.

Attachments area

(12:51 am IST)