Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

પડધરી પાસે ટાયર ફાટતાં કાર પલ્ટી ખાઇ ગઇઃ દ્વારકા પાલિકાના પુર્વ પ્રમુખનું મોતઃ પુત્રને ઇજા

મનસુખભાઇ પરમારે રાજકોટ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ પુત્ર શુભમ્ સારવારમાં: રાજકોટ પ્રસંગમાં આવતી વખતે બનાવ

રાજકોટ તા. ૨૭: પડધરી ટોલનાકા નજીક સાંજે કારનું ટાયર ફાટતાં કાર પલ્ટી મારી જતાં તેમાં બેઠેલા દ્વારકાના પુર્વ પાલિકા પ્રમુખ મનસુખભાઇ રામજીભાઇ પરમાર (ઉ.વ.૫૫)ને ગંભીર ઇજા  થતાં તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે પુત્ર શુભમ્ (ઉ.વ.૨૦)ને ઇજા થઇ હતી. પિતા-પુત્ર રાજકોટ કોઇ પ્રસંગમાં હાજરી આપવા આવી રહ્યા હતાં ત્યારે આ બનાવ  બન્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ દ્વારકામાં દ્વારકાધીશ મંદિર પાસે રહેતાં મનસુખભાઇ પરમાર પોતાની સ્કોડા કારમાં પુત્ર શુભમ્ સાથે રાજકોટ આવી રહ્યા હોઇ પડધરી ટોલનાકા પાસે પહોંચ્યા ત્યારે કારનું ટાયર ફાટતાં કાર પલ્ટી મારી જતા મનસુખભાઇ અને પુત્રને ઇજા થઇ હતી. ગંભીર ઇજાગ્રસ્ત મનસુખભાઇને રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં ગમગીની છવાઇ ગઇ હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરી હતી.

પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતાં જણાયું હતું કે ટાયર ફાટ્યા બાદ કાર બે ત્રણ ગોથા ખાઇ ગઇ હતી. મૃત્યુ પામનાર મનસુખભાઇ બે ભાઇમાં મોટા હતાં. તેમને સંતાનમાં બે પુત્ર છે. પોતે દ્વારકા પાલિકામાં પ્રમુખ પદે, શહેર ભાજ પ્રમુખ અને દ્વારકા સંગઠન મહામંત્રી પદે રહી ચુકયા છે. દિવ્ય દ્વારકા ફાઉન્ડેશનના ટ્રસ્ટી અને હોટેલ એસોસિએશનના પ્રમુખ પણ હતાં. આ ઉપરાંત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ હતાં. દ્વારકામાં તેમને હાઇવે પર હોટેલ પણ છે. બનાવને પગલે પરિવારજનો અને બહોળા મિત્રવર્તુળમાં ગમગીની છવાઇ ગઇ હતી. 

(11:58 am IST)