Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

મુળ કટકના અને ર૦ વર્ષ પહેલા દિલ્હીથી ગુમ થયેલા યુવકનું સોમનાથમાં પરીવાર સાથે મિલનઃ માનસીક દિવ્યાંગ યુવકને આશરો આપીને સારસંભાળ લેવાઇ હતી

સેવાભાવી સંસ્થાની ટીમ અને પોલીસની કામગીરીને બિરદાવાઇ

સોમનાથ : તીર્થંમાં સેવા કરતી "નીરાધાર નો આધાર" સંસ્થાએ દિલ્હી થી 20 વર્ષ પેહલા ગુમ થયેલા કટકના માનસિક વિકલાંગ યુવકનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. મૂળ કટ્ટકનો અને 20 વર્ષ પહેલાં દિલ્હીથી ગુમ થયેલ માનસિક વિકલાંગ યુવક રાજેશ સોમનાથ આવી પહોંચ્યો હતો. સોમનાથની સેવાભાવી સંસ્થાને મળી આવ્યો હતો. યુવકની સારસંભાળ કરીને તેને આશરો આપ્યો હતો. ત્યારબાદ તેનો વિસ્તાર જાણીને ત્યાંની પોલીસ સાથે સંપર્ક કરીને યુવકનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

બાળપણથી ક્રિકેટમાં કુશળ રાજેશ યુવા અવસ્થામાં આવતા માનસિક મંદતાથી પીડાતો હતો. જ્યારે દિલ્હી ખાતે તે પોતાના ભાઈને મળવા ગયો ત્યારે તે દિલ્હીથી ગુમ થયો હતો. પરિવારે તમામ જગ્યાએ શોધખોળ અને પોલીસ ફરિયાદ કરવા છતાં પણ રાજેશનો કોઈ પતો નહોતો મળતો. 20 વર્ષનો સમયગાળો વીત્યા બાદ જાણે કે પરિવારે રાજેશના જીવિત હોવાની આશા ગુમાવી દીધી હતી. પણ નિયતીએ રાજેશ શર્માના પરિવારને સુખદ આશ્ચર્યમાં ત્યારે મુક્યા જ્યારે સોમનાથની સેવાભાવી સંસ્થાએ રાજેશના ઘરનાનો પોલીસ મારફતે સંપર્ક કર્યો. રાજેશ સોમનાથમાં હોવાની જાણ કરી. પરિવારની ખુશીનો પાર ન રહ્યો અને રાજેશના ભાઈ બહેન રાજેશને લેવા સોમનાથ પહોંચ્યા હતા. 

નિરાધારનો આધાર આશ્રમ આ પ્રકારના માનસિક દિવ્યાંગોની સેવા છેલ્લા ઘણા વર્ષોથી કરી રહ્યો છે. સોમનાથ પશ્ચિમ રેલવેનું અંતિમ સ્ટેશન હોય ટ્રેનમાં બેસેલા માનસિક દિવ્યાંગ લોકો છેલ્લે સોમનાથના રસ્તાઓ પર ફરતા જોવા મળે છે. ત્યારે આ સંસ્થા આવા માનસિક દિવ્યાંગોને શોધીને પરિવાર સાથે મિલન કરાવે છે. રાજેશ 2 માસ પેહલા આ સંસ્થાને મળ્યો હતો ત્યારે તેને વ્યવસ્થિત સ્થિતિમાં લાવીને તેના શહેર અને જિલ્લાનો પતો મેળવીને પોલીસ મારફતે સંસ્થાએ યુવકને પરિવાર સાથે મેળવ્યો હતો.

(5:18 pm IST)