Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

ગોંડલના પૂર્વ ધારાસભ્યની સિંહગર્જના... ઓકિસજન અને ઇન્જેકશનનો પૂરતો જથ્થો આપો નહીં તો આંદોલન

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૨૮ : કોરોનાની મહામારીમાં ગોંડલ સહિત જિલ્લામાં ઓકિસજનની ઘટ અને રેમડેસીવીર ઇન્જેકશનની અછતના કારણે દર્દીઓના જીવ તાળવે ચોટી રહ્યા છે જિલ્લા તંત્રની બેજવાબદાર વ્યવસ્થાના કારણે લોકોના ટપોટપ મોત થઈ રહ્યા છે જો ૨૪ કલાકમાં યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવે તો ભાજપના જ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા રાજકોટ કલેકટર કચેરી સામે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે.

ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી ગર્ભિત ચીમકી આપી છે કે રાજયની સંવેદનશીલ સરકાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના કામો છેવાડાના દર્દી સુધી પહોંચી રહ્યા નથી જેનું મુખ્ય કારણ માત્ર અને માત્ર જિલ્લા વહીવટીતંત્રની બેજવાબદાર વ્યવસ્થા છે. અધિકારીઓ સરકાર ને ગણકારતાં નથી. ઓકિસજન નોડલ ઓફિસર અધિક કલેકટર જે.કે.પટેલ ને અવારનવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ પૂરતો ઓકિસજનનો જથ્થો આપવામાં આવી રહ્યો નથી અને ગોંડલના ભાજપના કાર્યકર્તાઓ ને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યા છે જે.કે.પટેલને બે વખત મોબાઈલ કોલ કરવામાં આવ્યા હતા. તેઓએ જયરાજસિંહ જાડેજાનો મોબાઇલ નંબર બ્લેક લિસ્ટમાં મૂકી દીધો છે વર્તમાન પરિસ્થિતિમાં તેઓની બેજવાબદારી અંગે જયરાજસિંહ જાડેજા દ્વારા તપાસની માંગ કરવામાં આવશે અને આ અંગે રાજય સરકારને પણ જાણ કરવામાં આવશે અધિક કલેકટર જે.કે.પટેલ ના કારણે સમગ્ર વહીવટીતંત્ર બદનામ થઈ રહ્યું છે તેવા આક્ષેપો કર્યા હતા.જયરાજસિંહ જાડેજા એ કોરોના પીડીતો માટે તંત્ર સામે આક્રમક લડત આપવાં એલાન કર્યું છે.

પ્રેસ કોન્ફરન્સમાં હાજર પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક એ જણાવ્યું હતું કે માત્ર ગોંડલ શહેરમાં ૩૪૮ બેડ છે, ૭૪૧ ઓકિસજન સિલેન્ડર અને ૩૫૦ રેમડેસીવીર ઇન્જેકશનની જરૂરત છે જેની સામે જિલ્લા તંત્ર માત્ર ૨૦ થી ૪૦ ટકા જ જથ્થો ફાળવી રહ્યું છે.

સમગ્ર પોરબંદર લોકસભા વિસ્તારની પરિસ્થિતિ પણ આવી જ છે. પોરબંદર લોકસભાના તમામ વિધાનસભા વિસ્તારમાં જરૂરિયાત મુજબનો જથ્થો ફાળવવામાં આવે તેવી સરકાર સામે ઉગ્ર માંગ કરી છે. આમ ભાજપનાં જ સાંસદ અને પુર્વ ધારાસભ્ય એ સરકારી તંત્રની પોલ ખોલી આડે હાથ લીધાં હોય તંત્રની પોકળતા છતી થવા પામી છે.

(1:17 pm IST)