Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

જુનાગઢના ભગવાન ખાતેના ચેકડેમમાં ઝંપલાવી યુવાનની આત્મ હત્યા

ડિપ્રેશનથી આત્મધાતી પગલુ ભર્યું

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૮ : જુનાગઢના ભવનાથમાં આવેલ નારાયણ ધરાના ચેકડેમમાં માનવ લાશ તરતી હોવાની જાણ આજે સવારે થતા ભવનાથના પી.એસ.આઇ. આર.પી. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. ભીમભાઇ ડાંગર અને અશ્વિનભાઇ મકડીયા વગેરે દોડી ગયા હતા.

પોલીસે ફાયર બ્રિગેડના કનુભાઇ પરમાર, જીતુ ઓડેદરા, અશ્વિન નંદાણીયા,અને ભગતસિંહ રાઠોડની મદદથી સવારે ચેકડેમમાંથી મૃતદેહ બહાર કાઢયો હતો.

પોલીસની પ્રાથમીક તપાસમાં મૃતક જુનાગઢમાં નહેરૂપાર્ક સોસાયટી સ્થિત તક્ષશીલા એપાર્ટમેન્ટમાં રહેતા સમીરભાઇ વિજેરામભાઇ અગવત (ઉ.૪૪) હોવાનું ખુલ્યુ હતું.

એ.એસ.આઇ. ભીમભાઇ ડાંગરે અકિલા સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે, મરનાર યુવાનના ભાઇનું એક વર્ષ અગાઉ અવસાન થયેલ અને કોરોનાને કારણે તેઓ ડિપ્રેશનમાં હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવેલ હોવાનું શ્રી ડાંગરે જણાવ્યું હતું. ભવનાથ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સુત્રોના વધુમાં જણાવ્યા મુજબ મૃતક સમીરભાઇ ગઇકાલે બપોર બાદ તેમના ઘરેથી નીકળી ગયો હતો અને આજે સવારે ચેકડેમમાંથી તેમની લાશ મળી આવતા અરેરાનટી પ્રસરી ગઇ છે.

(12:53 pm IST)