Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

પોરબંદર જિલ્લામાં વંદે ગુજરાત વિકાસયાત્રાની તડામાર તૈયારીઓ : ખાતમુહૂર્ત - લોકાર્પણના વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો

પોરબંદર તા. ૨૯ : જિલ્લામાં જનસેવા યજ્ઞ સમાન વંદે ગુજરાત વિકાસયાત્રાનો પ્રારંભ તા. ૫ જુલાઇથી થઇ રહ્યાનું કલેકટર અશોક શર્માએ જણાવેલ છે.

લોકોને ગુજરાત સરકારની વિવિધ કલ્‍યાણકારી યોજનાઓની માહિતી મળી રહે તેમજ સ્‍થળ પર જ સરકારી સેવાઓનો લાભ મળી રહે સહિતના જનહિતના આયામો સાથે પોરબંદર જિલ્લામાં  તા. ૫ જુલાઈ,૨૦૨૨ થી વંદે ગુજરાત વિકાસ રથયાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે. પોરબંદર જિલ્લા કલેકટર અશોક શર્માએ પોરબંદર જિલ્લામાં આગામી તા. ૫ જુલાઈ ૨૦૨૨થી શરૂ થનાર વંદે ગુજરાત વિકાસ યાત્રાના જિલ્લા કક્ષાના તેમજ ગ્રામ્‍ય કક્ષાના કાર્યક્રમો અને તેમાં લોકોને આપવામાં આવનાર વિવિધ સેવાઓ તેમજ યોજનાકીય માહિતીના અભિયાન અંગેની વિગતો આપી હતી.

 કલેકટરે પત્રકારો સાથે સંવાદ કરતા જણાવ્‍યું હતું કે જન જન સુધી સરકારની યોજના પહોંચે અને સુશાસન હેઠળ લોકોને વરિષ્ઠ નાગરિક સેવાઓ મળી રહે તે માટે રાજય સરકાર ના માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ છે. આગામી તા. ૫ જુલાઇના રોજ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોરબંદર શહેરમાં યોજાશે અને વંદે ગુજરાત રથયાત્રાનો પ્રારંભ કરાવાશે.

પોરબંદર જિલ્લામાં કુલ ૩૦ ગામોમાં આ કાર્યક્રમ યોજાશે સવારે અને સાંજે અલગ અલગ ગામમાં રથના આગમન નિમિત્તે ફિલ્‍મ નિર્દર્શન, સરકારની યોજનાઓની માહિતી, વિવિધ દાખલા સહિત ઓનલાઇન જનસેવા, ધનવંતરી રથ અંતર્ગત આરોગ્‍ય તપાસણી, આયુષ્‍યમાન કાર્ડ વિતરણ, માતૃશક્‍તિ યોજનાની અમલવારી ઉપરાંત વિવિધ ૧૪ વિભાગો તરફથી ૪૪૦૦ થી વધુ લાભાર્થીઓને લાભો આપવાનું આયોજન કરવામાં આવ્‍યું છે. કાર્યક્રમ દરમ્‍યાન વિકાસના કામોની જાહેરાત પણ થનાર છે. જેમાં રૂ.૪૪૬ લાખના ૬૬ કામોનું ખાતમુહૂર્ત અને ૪૪૭ લાખના ૧૦૧ કામોનું લોકાર્પણનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે.

દરેક ગામમાં જયાં રથનું પ્રસ્‍થાન થવાનું છે ત્‍યાં સવારે પ્રભાત ફેરી ,સફાઈ ઝુંબેશ અને વૃક્ષારોપણના કાર્યક્રમમાં ઉપરાંત પાણીનો યોગ્‍ય ઉપયોગ અને પાણી બચાવવા અંગેની સમજ પશુ સારવાર કેમ્‍પ, આંગણવાડીઓમાં પૂરક આહાર, વાનગી નિર્દેશન, પશુઓમાં રસીકરણ સહિતના કાર્યક્રમો પણ થશે. આમ આ વિકાસ યાત્રા જનસેવાની યાત્રા બની રહેશે.

 વંદે ગુજરાત વિકાસ યાત્રામાં લોકો જોડાય તે માટે ઉપરાંત તેમને મળવાપાત્ર  લાભો મળી રહે તે માટે અધિકારીઓ કાર્યક્રમ પૂર્વે ગામોની મુલાકાત લેશે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત અને  પંચાયતના જન પ્રતિનિધિઓ, સરપંચો, સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓના પ્રતિનિધિઓ, અગ્રણીઓ જોડાય તે માટે આયોજન કરવામાં આવ્‍યું છે. માધ્‍યમો સાથે સંવાદ મિટિંગમાં જિલ્લા વિકાસ અધિકારી વી. કે .અડવાણીએ પણ આરોગ્‍ય વિષયક સહિતની વિવિધ સેવાઓ અંગેની માહિતી આપી હતી. અધિક કલેકટર એમ. કે. જોશી સહિતના અધિકારીઓ અને પત્રકારો ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:46 pm IST)