Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

સગીરા ઉપરના દુષ્‍કર્મ-પોકસોના કેસમાં વેરાવળની કોર્ટ દ્વારા આરોપીને ૧૪ વર્ષની સજા અને દંડ

(અશોક પાઠક-દિપક કક્કડ દ્વારા) કોડીનાર-વેરાવળ,તા. ૨૯ : વેરાવળની સ્‍પે. (પોકસો) કોર્ટ દ્રારા સગીરા ઉપર દુષ્‍કર્મ કરવા બદલ આરોપીને ૧૪ વર્ષની સખ્‍ત કેદની સજા અને દંડ ફટકારેલ છે.

આ કેસની વિગતો આપતા જીલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ જણાવેલ કે, તાલાલા પોલીસમાં આજથી ત્રણ વર્ષ પહેલા ૨૦૧૯ માં એક સગીરા ને ઇશ્વરદાસ રમેશભાઈ ગોંડલીયા રહે.મુંડીયા રાવણી તા.વિસાવદર જી.જુનાગઢ વાળાએ લલચાવી ફોસલાવી લગ્ન કરવાના કે બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી કાયદેસરના વાલીપણામાંથી ભગાડી જઇ ભોગ બનનાર સગીર હોવાનું જાણવા હોવા છતા તેની સાથે અવાર નવાર તેણીની મરજી વિરૂધ્‍ધ બળાત્‍કાર કરેલ હોવાની ફરીયાદ સગીર બાળકીના પિતાએ નોંધાવેલ હતી. આ બનાવની તપાસ પોલીસ અધિકારી વી.આર.રાઠોડે હાથ ધરી આરોપી ઇશ્વરદાસ ગોંડલીયા સામે આઇ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ તેમજ બાળકોને જાતીય રક્ષણ આપવાના અધિનિયમ-ર૦૧ર ની કલમ ૩(એ), ૪, પ(એલ), મુજબ ગુન્‍હો નોંધેલ હતો.

આ કેસનું ચાર્જશીટ કોર્ટમાં રજુ થતા વેરાવળની સ્‍પે. (પોકસો) કોર્ટના નામદાર જજ શ્રી કિર્તી જે. દરજી ની કોર્ટમાં કેસ ચાલલતા ડિસ્‍ટ્રીકટ પબ્‍લીક પ્રોસીકયુટર કે.ડી.વાળા એ સમગ્ર કેસનુ પ્રોસીકયુશન ચલાવેલ જેમાં આ કેસને સાબીત કરવા માટે અંદાજે ૧૯ જેટલા સાહેદોમાં ફરીયાદી અને અન્‍ય સાહેદો તેમજ પંચ, ડોકટર અને પોલીસ સહીતનાની જુબાની લીધેલ તેમજ દસ્‍તાવેજી પુરાવાઓ રજુ કરી દલીલ કરતાં જણાવેલ કે, સમાજમાં દિકરીઓ સલામત રહે તે માટે સરકારે સ્‍પે. પોકસો એકટની જોગવાઈ કરેલી છે અને સગીરા એ જે જુબાની આપેલી છે તે જ સજા માટે પુરતી છે તેમ છતાં મેડીકલ એવીડન્‍સ તથા અન્‍ય સાહદોની જુબાની પણ આ બનાવને તેમજ ભોગ બનનારની જુબાનીને સમર્થન કરતી જુબાની આપેલી છે અને સગીર વયની દિકરીઓને લાલચ આપી, ફોસલાવી પટાવી અને ભગાડી જઈ તેની ઈચ્‍છા વિરૂધ્‍ધ બળાત્‍કાર કરતાં શખ્‍સોના કૃત્‍યને કોઇ પણ રીતે હળવાશથી લઈ શકાય નહી જેથી સમાજમાં સગીર વયની દિકરીઓ સલામત રહે તે માટે સખ્‍ત સજા કરવા દલીલો કરેલ તેને ધ્‍યાને લઈ નામ. સ્‍પે. (પોકસો) જજ શ્રી કિર્તી જે. દરજી એ બંને પક્ષને સજા માટે સાંભળેલ અને વડી અદાલતોના ચુકાદાઓ મુજબ ગુન્‍હેગાર સાથે સખ્‍ત હાથે કામ લેવું જોઈએ અને મહત્તમ સજા થવી જોઈએ તેવી દલીલો-રજુઆતોને ધ્‍યાને લઈ નામ. સ્‍પે. (પોકસો) કોર્ટના જજ શ્રી કિર્તી જે. દરજી એ આરોપી ઇશ્વરદાસ રમેશભાઈ ગોંડલીયા ને બાળકોને જાતીય રક્ષણ આપવાના અધિનિયમ-ર૦૧ર ની કલમ ૪, પ (એલ) મુજબના ગુન્‍હામાં તકસીરવાન ઠરાવી ૧૪ વર્ષની સખ્‍ત કેદની સજા તેમજ રૂા.૧૦,૦૦૦ દંડ કરેલ છે અને જો દંડ ન ભરે તો વધુ ૩ માસ ની સાદી કેદની સજા ભોગવવા આખર હુકમ કરી સમગ્ર સજા એક સાથે ભોગવવા હુકમ કરેલ છે તેમજ સરકારની યોજના મુજબ ભોગ બનનારને રૂા.૨,૬૫,૦૦૦ સહાયની રકમ ચુકવવા હુકમ કરેલ હોવાનું જણાવેલ છે.

(10:26 am IST)