Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

વડિયાથી ખાખરીયા રોડનું કામ શરૂ કરાયું

અખબારી અહેવાલને લઈને સફાળું તંત્ર જાગ્‍યું

(ભીખુભાઇ વોરા દ્વારા)વડીયા તા. ૨૮ : અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા વડિયાથી જીલ્લાને જોડતો મુખ્‍ય માર્ગ મગરમચ્‍છની પીઠ સમાન બની ગયો હતો.  લોકોને વડિયાથી અમરેલી કુંકાવાવ અને બગસરા જવામા ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોયના છુટકે વાહન ચાલકોને વાયા મોરવાડા ખાન ખીજડીયા કરવું પડતું હતું.

વડીયાથી ખાખરીયા ૩૫૧ નેશનલ હાઇવે પર રોડ ઓછો અને ખાડા વધારે તેવો ઘાટ સર્જાયો હતો. જેને લઈને વાહન ચાલકોના અકસ્‍માત થતા હતા અને ભારે મુશ્‍કેલીનો સામનો કરવો પડતો હતો છતા તંત્રના પેટનું પાણી હાલતું ન હતું. જ્‍યારે આ અંગે અખબારમાં અહેવાલ પ્રકાશિત થતાની સાથે જ તંત્ર તાબડતોબ હરકતમાં આવ્‍યું હતું અને વડિયાથી ખાખરીયા સુધીનો રસ્‍તો તાત્‍કાલિક બનાવવાનું શરૂ કર્યું છે.

છેલ્લા પાંચેક વર્ષથી વાહન ચાલકો અને સ્‍થાનિકો રોડની હાલતથી  પરેશાન હતા અનેક રજૂઆતો પણ કરવામાં આવી હતી છતા તંત્રના બહેરા કાને સંભળાતી ન હતી ત્‍યારે થોડા દિવસ પહેલા આ રોડ અંગે અખબારમાં અહેવાલ પ્રસિદ્ધ થતા સફાળું તંત્ર જાગ્‍યું અને રોડ પર ડામર ની કામગીરી શરૂ કરવામાં આવી. ત્‍યારે સ્‍થાનિકો અને વાહન ચાલકોને  હાશકારા થશે.

(10:52 am IST)