Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

ગુજરાતના પ્રખ્‍યાત લોક-1 ઘઉંના દાણામાંથી નરેન્‍દ્રભાઇ મોદીની તસ્‍વીર તૈયાર કરાઇઃ જીતુભાઇ વાઘાણી દ્વારા સ્‍મૃતિ છબીથી સ્‍વાગત કરાયુ

ભાવનગરના સણોસરા ખાતે આવેલી લોકભારતી સંસ્‍થાના કૃષિ વૈજ્ઞાનિક સ્‍વ. ડો. ઝવેરભાઇ પટેલ દ્વારા આ ઘઉંની નવી જાત વિકસાવાઇ

ભાવનગરઃ લોકભારતી સણોસરાના કૃષિ વૈજ્ઞાનિક દ્વારા લોક-1 ઘઉંની નવી જાત વિકસાવવામાં આવી હતી. લોક-1 ઘઉં દર વર્ષે 200 કરોડનો નફો મેળવે છે. ખાદ્ય સુરક્ષામાં આ ઘઉંનું અમુલ્‍ય યોગદાન છે. ગુજરાતના પ્રવાસે આવેલા નરેન્‍દ્રભાઇ મોદીની તસ્‍વીર લોક-1 ઘઉંના દાણામાંથી તૈયાર કરાઇ છે. જીતુભાઇ વાઘાણી દ્વારા વૈશ્વિક નેતા નરેન્‍દ્રભાઇ મોદીને સ્‍મૃતિ છબીથી સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતુ.

ગુજરાતના પનોતાપુત્ર અને વૈશ્વિક નેતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. વડાપ્રધાનનું ભાવેણાની પાવનભૂમિ ભાવનગર ખાતે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ વિશ્વના સૌથી શ્રેષ્ઠ અને બોલ્ડ એવા ઘઉં ‘લોક-1’નાં દાણાથી તૈયાર કરાયેલી છબી સ્મૃતિ ભેટ તરીકે આપીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, લોકભારતી સંશોધિત વૈશ્વિક ખ્યાતિપ્રાપ્ત પ્રાકૃતિક ‘લોક-1’ ઘઉંને નોબેલ લોરેટે વિશ્વના સૌથી મોટી સાઈઝના ઘઉંનું બિરુદ આપેલુ છે. જેમાંથી પીએમની છબી તૈયાર કરવામાં આવી છે.

ભાવનગર જિલ્લાના સણોસરા ખાતે આવેલી દેશની એકમાત્ર NGO ‘લોકભારતી’ના જાણીતા કૃષિ વૈજ્ઞાનિક સ્વ. ડૉ. ઝવેરભાઈ પટેલ દ્વારા લોક-1 ઘઉંનું સંશોઘન કરવામાં આવ્યું છે. આ ઘઉંનો પ્રકાર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરતો ઘઉંનો પ્રકાર છે. કેમ કે આ ઘઉંના ઉત્પાદનથી ખેડૂતો 8% વધુ ઉપજ મેળવી શકે છે. પરિણામે ઘઉંના બફર સ્ટોકમાં નોંધપાત્ર યોગદાન સાથે આપણા દેશની ખાદ્ય અછતનો સામનો કરવા માટે દેશ આત્મનિર્ભર બન્યો છે. તેથી જ આ ઘઉંનું સંશોધન રાષ્ટ્ર માટે અતુલ્ય યોગદાન ગણવામાં આવે છે. વર્ષ 1981થી દેશની અન્ય તમામ ઘઉંની જાતોમાં લોક-1 પ્રથમ સ્થાને છે.

લોક-1 ઘઉંના ઉપયોગથી દર વર્ષે દેશને રૂ.200 કરોડનો નફો થાય છે. આપણા રાષ્ટ્રની હરિયાળી ક્રાંતિ અને ખાદ્ય સુરક્ષામાં તેનું અમૂલ્ય યોગદાન છે. ઘઉંની અન્ય જાતોની સરખામણીમાં સૌથી વધુ ઉપજ આપનારી આ વેરાઇટીને ઓછી સિંચાઈ અને ખાતરની જરૂર પડે છે. જે વહેલી પરિપક્વતા હોવા છતાં વધુ ઉત્પાદન આપે છે.

વિશેષ ગુણધર્મો ધરાવતા આ ઘઉંના દાણાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર તૈયાર કરાવાઈ હતી. શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા વૈશ્વિક નેતા ભારતના વડાપ્રધાન મોદીનું આ અનોખી સ્મૃતિછબીથી સ્વાગત કરવામાં આવ્યુ હતું.

(5:39 pm IST)