Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

ગોંડલ નજીક યમરાજાના ડેરા તંબુ અઠવાડિયામાં આઠ જીવાદોરી ખેંચી લીધી

શ્રીનાથગઢ રોડ પર ટ્રક અને બાઇક અકસ્માતમાં એકનું મોત : ત્રણ ભાઇઓના પરિવારમાં નાના ભાઇનું ત્રણ વર્ષ પહેલા અકસ્માતમાં નિધન થયું હતુ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા. ૨૯ : તાલુકાના મોવિયા શ્રીનાથગઢ રોડ પર આઈસર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા આધેડ પર ટ્રકના તોતિંગ વ્હીલ ફરી વળતા તેનું મોત નીપજયું હતું જયારે અન્ય એકને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ શહેર નજીક યમરાજાએ જાણે ડેરા તંબુ તાણીયા હોય તેમ છેલ્લા એક જ સપ્તાહમાં અકસ્માતના કારણે આઠ જેટલી માનવ જિંદગી હોમાઇ જવા પામી છે ત્યારે અત્રેના જેતપુર રોડ પર દાસી જીવણ પાર્ટી પ્લોટ ની સામે યસ એપાર્ટમેન્ટમાં રહેતા જીતુભાઈ કાંતિભાઈ દુદાણી (ઉ.વ ૫૪)અને ઇન્દ્રજીત જાડેજા બાઈક પર જીવાપર ગામે જઇ રહ્યા હતા ત્યારે તાલુકાના મોવિયાથી શ્રીનાથગઢ જતા માર્ગ પર આઇસર GJ17UU 3991 સાથે અકસ્માત સર્જાતા જીતુભાઈ કાંતિભાઈ દુદાણી ઉપર ટ્રકના તોતિંગ વ્હીલ ફરી વળતા તેમનું મોત નીપજયું હતું જયારે તેમની સાથેના ઇન્દ્રજીતસિંહ જાડેજા ને ઈજા થતાં હોસ્પિટલે ખસેડાયા હતા.

અકસ્માતમાં બનાવને પગલે જીતુભાઈ દુદાણીના પરિવારજનો હોસ્પિટલ ખાતે એકત્રિત થઈ ગયા હોય તેઓએ જણાવ્યું હતું કે જીતુભાઈ અને તેમના કારીગર ઇન્દ્રજીતસિંહ જીવાપર ગામે ઓઇલ મિલના વેલ્ડીંગ ના કામે બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો જીતુભાઈ ને સંતાનમાં એક પુત્ર છે ત્રણ ભાઈઓના પરિવારમાં જીતુભાઈ બીજા નંબરના હતા કુદરતની કરુણતા એ કે ત્રણ વર્ષ પહેલાં જ જીતુભાઈ નાનાભાઈ ગોપાલભાઈનું કોલેજ ચોકમાં અકસ્માતમાં નિધન થયું હતું.

(11:28 am IST)