Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

દામનગરની સીમમાં શ્રમજીવી પરિવારના ૩ વર્ષના બાળકને શ્વાનના ટોળાએ ફાડી ખાધુ

છોટા ઉદેપુર જિલ્લાના થાંભલા ગામના પરિવારમાં ઘેરો શોક : નાના એવા ગામમાં અરેરાટી

ᅠઅમરેલી - દામનગર તા. ૩૧ : રાજયમાં રખડતા આખલા બાદ હવે શ્વાનનો ત્રાસ ચિંતાજનક હદે વધી ગયો છે. રસ્‍તે રખડતા શ્વાન પહેલા રાહદારીઓ કે ટુ-વ્‍હીલર ચાલકોની પાછળ દોડીને પરેશાન કરતા હોય છે, શ્વાનના આતંકની એક ઘટના અમરેલીમાં જોવા મળે છે. અમરેલીમાં શ્વાનના હુમલાથી ૩ વર્ષના બાળકનું મોત નિપજયુ છે. ગઈકાલે રાત્રે અમરેલીના દામનગર નજીક વાડીમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમજીવીના ૩ વર્ષના બાળકને શ્વાનના ટોળાએ ફાડી ખાધુ હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર છોટાઉદેપુરના થાંભલા ગામના શ્રમજીવી પરિવાર હોવાનું સામે આવ્‍યું છે.

મહત્‍વનું છે કે આ અગાઉ સુરતમાં શ્વાન કરડવાની અનેક ઘટના સામે આવી હતી. સુરતના ખજોદ વિસ્‍તારની બાળકી પર રખડતા શ્વાન તૂટી પડ્‍યા હતા. શ્વાને એક બાદ એક ૧૦-૧૫ નહીં પરંતુ ૪૦ બચકા ભરીને તેને અધમુઈ કરી નાખી હતી. જોકે ત્રણ દિવસ સુધી જીવનનો જંગ લડતી આ માસૂમનું આખરે મૃત્‍યુ થયું હતુ. તબીબોની એક ટીમ દિવસ રાત બાળકીની સારવારમાં જોડાયેલી રહી હતી. પરંતુ બાળકીના જીવને બચાવવાના તમામ પ્રયાસો અપૂરતા સાબિત થયા અને તબીબોને પણ હાથ માત્ર નિરાશા લાગી.

આ અગાઉ મહેસાણા ટી.બી રોડ પર આવેલ સ્‍નેહકુંજ સોસાયટીમાં બની હતી. પોતાના ઘર આગળ રમતી એક નવ વર્ષની બાળકીને કૂતરાને ટચલી આંગળીએ બચકુ ભરી લેતાં ગંભીર ઇજાથી લોહી નિકળવા લાગ્‍યુ હતુ. બાળકીના પિતા નોકરી અર્થે બહાર ગયા હતા. જેથી પાડોશીએ તાત્‍કાલી ધોરણે બાળકીને સારવાર માટે હોસ્‍પિટલ લઇ ગયા હતા,જયાં ડોક્‍ટરો દ્વારા સારવાર કરવામાં આવી હતી.

રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતનું તંત્ર શ્વાનના ખસીકરણ માટે વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. વર્ષ ૨૦૧૬-૧૭માં ૭૬ લાખથી વધુનો ખર્ચ થયો હતો. જયારે ૨૦૧૭-૧૮માં ૫૭.૧૫ લાખથી વધુનો ખર્ચ ખસીકરણ માટે કરાયો હતો.તો ૨૦૧૯-૨૦માં સર્વાધિક ૧ કરોડ ૩ લાખનો ખર્ચ ખસીકરણ પાછળ કરાયો હતો. જયારે ૨૦૨૨-૨૧માં ૮૨ લાખનો ખર્ચ થયો છે. જયારે દર વર્ષે ખસીકરણનો ખર્ચ વધતો હોવા છતાં પણ રખડતા શ્વાનની સંખ્‍યા ઘટવાને બદલે સતત વધતી જાય છે.

(5:21 pm IST)