Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

વિજયભાઇ રૂપાણીના કાર્યક્રમ માટે કચ્છનું તંત્ર સજ્જઃ ૫ ઓગસ્ટે ભુજ - અંજારમાં અનેકવિધ કાર્યક્રમો

રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ નિમિત્તે સમગ્ર જિલ્લામાં પ્રજાલક્ષી વિવિધ કાર્યક્રમોનું આયોજન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૩૧ : મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં રાજય સરકારના સુશાસનના પાંચ વર્ષ નિમિતે ૧લી ઓગષ્ટથી ૯મી ઓગષ્ટ-૨૦૨૧ સુધી સૌના સાથ સૌના વિકાસના કાર્યક્રમો રાજયસ્તરે યોજાનાર છે. જે પૈકી કચ્છ જિલ્લામાં પણ આ કાર્યક્રમો યોજાશે. જેની પૂર્વ તૈયારી રૂપે આજે કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઇ હતી.

જે અંતર્ગત મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ૫મી ઓગષ્ટ ૨૦૨૧ના કિસાન સન્માન દિનની રાજયસ્તરની ઉજવણી ભુજ-કચ્છ ખાતેથી કરાવશે. આ અંગેના આયોજન માટે યોજાયેલી બેઠકમાં કલેકટરશ્રી અને અધિક જિલ્લા કલેકટરશ્રી કુલદીપસિંહ ઝાલાએ કાર્યક્રમ તૈયારીની પૂર્વ ચકાસણી અંગે ખેતીવાડી વિભાગ, નાયબ ખેતી નિયામકશ્રી મેણાંત, પીજીવીસીએલના અધિક્ષકશ્રી ગુરવા તેમજ સંકળાયેલ કામગીરીના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.

ઉલ્લેખનીય છે કે, તા.૧ થી ૯ સુધી જિલ્લામાં પણ જ્ઞાન શકિત દિવસ, સંવેદના દિવસ, અન્નોત્સવ દિવસ, નારી ગૌરવ દિવસ, કિસાન સન્માન દિન, રોજગાર દિવસ, વિકાસ દિવસ, શહેરી જન સુખાકારી દિવસ, વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરશે.

આ સંદર્ભે ડિઝાસ્ટર મામલતદારશ્રી પ્રજાપતિ અને શિક્ષણાધિકારી ડો.બી.એન.પ્રજાપતિ સાથે તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, નિયામકશ્રી ડી.આર.ડી.એ.શ્રી એચ.એમ.જાડેજા, પોલીસ અધિક્ષક સર્વશ્રી મયુર પાટીલ અને સૌરભસિંઘ પ્રાંત અધિકારીઓ સર્વશ્રી અતિરાગ ચપલોત, પ્રવિણસિંહ જૈતાવત, પી.એ.જાડેજા, મેહુલ બરાસરા, તેમજ સબંધિત મામલતદારો, અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહયા હતા.

(10:10 am IST)